દલીત યુવાનની હત્યા કરનાર શખ્સ ઝડપાયો

1494
bvn1452018-7.jpg

ઉમરાળા તાલુકાનાં ટીંબી ગામે આજથી દોઢ માસ પૂર્વે દલીત યુવાનની દાતરડાનાં ઘા ઝીકી કરપીણ હત્યા કરાઈ હતી બનાવ અંગે ભાવનગર પોલીસે હત્યાના ગુનામાં એક શખ્સને ઝડપી લીધો છે હત્યા કરવાનું કારણમાં તેની પત્નીની મૃતક યુવાન અવાર-નવાર છેડતી કરતો હોય જેથી ઠપકો આપતા સામેથી બિભત્સ શબ્દો બોલી લાકડી વડે એક ઘા મારતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ હાથમાં રહેલ દાતરડા વડે ચાર-પાંચ ઘાં મારી દઈ હત્યા કરી નાસી છુટયા હોવાની કબુલાત આપી હતી.
ગઈ તા.૨૯-૩ના રોજ રાત્રીના સમયે ઉમરાળા પો.સ્ટે.તાબેના ટીંબી ગામના દલિત યુવક પ્રદીપ કાળુભાઈ રાઠોડ ઉ.વ.૨૧ વાળાની તીક્ષ્ણ હથિયારના ઘા ગળા તથા હાથના ભાગે મારી હત્યા કરાયેલ હાલતમાં ટીંબી કેરીયા રોડ ઉપર સીમ વિસ્તારમાંથી લાશ મળી આવેલ હતી. જે અનુસંધઆને તુરત જ ગુનો નોંધી તપાસ ના.પો.અધિ. એસ.સી./એસ.ટી. સેલનાઓને સોંપવામાં આવેલ. ફરિયાદી દ્વારા આપવામાં આવેલ ફરીયાદ મુજબ મરણજનાર ઘોડી રાખતો હોય, દલિતોએ ઘોડી ન રખાય દરબાર હોય તે જ ઘોડી રાખી શકે તેવુ કહી અમુક દરબાર જ્ઞાતિના શખ્સોએ ધમકી આપેલ હોય, ઉપરોક્ત હત્યા મરણજનાર દલિત હોય અને ઘોડી રાખતો હોવાના કારણે દરબાર શખ્સો દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાવવામાં આવેલ હતું.
જે બાબતની ગંભીરતાને સમજી અમિત વિશ્વકર્મા, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર રેન્જ તથા પી.એલ.માલ પોલીસ અધિક્ષક, દ્વારા તુરત જ ગુના વાળી જગ્યાની મુલાકાત લઈ ઉમરાળા ખાતે કેમ્પ કરેલ હતો અને તપાસ કરનાર અધિકારી એ.એમ. સૈયદ, ના.પો.અધિ.એસ.સી.એસ.ટી.સેલ, ભાવનગર, પી.પી.પીરોજીયા, નાયબ પોલીસ અધિક્ષક, પાલીતાણા વિભાગ પાલીતાણા, ડી.એમ. મિશ્રા, પો.ઈન્સ. એલ.સી.બી. ડી.ડી.પરમાર, ઈચા.પો.ઈન્સ.એસ.ઓ.જી., એન.જી.જાડેજા, પો.સ.ઈ. એલ.સી.બી. કે.જે.કપરડા પો.સ.ઈ. ઉમરાળાની અલગ અલગ ટીમ બનાવી શકદારોની તપાસણી, ટ્રેક સર્વેલન્સ, ટેકનીકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી.તપાસણી શરૂ કરાવવામાં આવેલ હતી. ટેકનીકલ ટીમ દ્વારા તમામ ટેકનીકલ પાસાઓનો અભ્યાસ કરવામાં આવી રહેલ હતો. જે દરમિયાન ટેકનીકલ ટીમને એક મહત્વની કડી મળી આવેલ. જે મુજબ એક શંકાસ્પદ ઈસમ બનાવ સમયે ગુના વાળી જગ્યાની આસ-પાસ હાજર હોવાનું અને બીજે જ દિવસે શંકાસ્પદ રીતે જગ્યા છોડી દલિત હોવાનું અને આજ-દીન સુધી પરત નહી ફરેલ હોવાની માહિતી મળેલ. જે માહિતી ટેકનીકલ ટીમ દ્વારા એલ.સી.બી., એસ.ઓ.જી. ભાવનગર તથા ઉમરાળા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા પોતાના ખાનગી બાતમીદારો કામે લગાડી શંકાસ્પદ ઈસમ વિશે પુરતી માહિતી મેળવી આ શંકાસ્પદ ઈસમ મુન્નાભાઈ ભીખાભાઈ થળૈશા (કોળી), ઉ.વ.૨૮ રહે. પડાણા, તા.ધંધુકા જી.અમદાવાદ વાળાને પડાણા ગામની સીમમાંથી ઝડપી પાડી પુછપરછ માટે ઉમરાળા પો.સ્ટે. ખાતે લાવવામાં આવેલ. શખ્સને પુછપરછ કરતા તેણે જણાવેલ છે કે, પોતે છેલ્લા બે વર્ષથી પીપરાળી ગામના ભોથાભાઈ રણછોડભાઈ લાઠીયાની વાડી ભાગવુ રાખી પોતાના પરિવાર સાથે આ વાડીમાં આવેલ ઓરડીમાં રહેતો હતો અને મરણજનાર પોતાની પત્નીને અવાર-નવાર વાડી ઉપર આવી છેડતી કરતો હોય અને અભદ્ર ભાષા વાપરી અઘટીત માંગણી કરતો હતો. જે બાબતે ઠપકો આપતા સામેથી દાદાગીરી કરતો હોય, બનાવના દીવસે પોતે બનાવવાળી જગ્યા નજીક પોતાની વાડીમાંનુ ધારીયુ સાથે લઈ દાતણ કાપવા ગયેલ હતો અને મરણજનારને ખરાબામાં ચાલી પોતાની વાડી બાજુ જતો જોયેલ જેથી મરણજનાર પોતાની પત્નીની છેડતી કરવા જ જતો હશે. તેમ માની પોતે સામે ચાલી મરણજનારને ઠપકો આપવા આવેલ. જે દરમિયાન બોલાચાલી થતા મરણજનારને ગળાના ભાગે તથા હાથના બાગે ધારીયાના ચાર-પાંચ ઘા મારી પોતે ભાગી ગયેલ અને ધારીયુ ખરાબામાં રોડના કાંઠે ઝાડીમાં જે તે સ્થિતીમાં ફેકી દઈ ઓરડીએ જઈ પોતાની પત્ની તથા માતાને ઉપરોક્ત બનાવની જાણ કરેલ અને બીજા દિવસે સવારે પોતાના પરિવાર સાથે પોતાના વતન ખાતે ચાલ્યો ગયેલ હોવાની હકીકત જણાવેલ છે. જેથી હાલના તપાસનીસ અધિકારી પી.પી. પીરોજીયા, નાયબ પોલીસ અધિક્ષક, પાલીતાણા વિભાગ, દ્વારા તેની વિધીવત ધરપકડ કરવામાં આવેલ તેમજ આ ગુના બાબતે વધુ પુરાવાઓ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.

Previous articleજળસંચય અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૫૧૮ કામો થશે : વિભાવરીબેન
Next articleતાપમા તપતા ગરીબોને ચપ્પલ વિતરણ