બગદાણા ખાતે જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ

1319
bvn2692017-8.jpg

બગદાણા ખાતે આજે જિલ્લાકક્ષાના ત્રિદિવસીય ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનને બાલવૈજ્ઞાનિક વિદ્યાર્થીનીઓ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળા વિભાગની પ૦ અને માધ્યમિક વિભાગની ૩પ એમ કુલ ૮પ કૃતિઓ અલગ અલગ પ વિભાગોમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં બજરંગદાસબાપા હાઈસ્કુલ ખાતે જિ.પં.ના પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ ખાસ ઉપસ્થિત રહી શિક્ષકો-બાલવૈજ્ઞાનિકોને પ્રેરક ઉદ્દબોધન આપ્યુ હતું. અંબિકા આશ્રમના મહંત પૂ.રમજુબાપુએ આશિર્વચન પ્રવચનમાં ભાગ લેનાર વિદ્યાર્થી બહેનો-ભાઈઓને ભણતરમાં આગળ વધવાની શુભેચ્છા આપી હતી. શિક્ષણ ભવનના પ્રાચાર્ય સંજયભાઈ તલસાણીયાએ આવકાર પ્રવચન સાથે સૌને આવકાર્યા હતા. વિજ્ઞાન મેળાના કન્વિનર સુખાભાઈ વી. ડાભીએ આભાર પ્રવચન તેમજ શિક્ષણ ભવનના પ્રા. અક્ષય સાગર મહેતાએ સંચાલન કર્યુ હતું. આ વેળાએ બગદાણા ગામના સરપંચ કાંતિભાઈ, ઉપસરપંચ, મહુવા બીઆરસી તેમજ વિદ્યાર્થીઓ-શિક્ષકો, ગ્રામજનોની ઉપસ્થિતિ હતી. આ કાર્યક્રમમાં બજરંગદાસબાપા હાઈસ્કુલની વિદ્યાર્થીની રાજુબેન ભુવાએ વિક્રમ સારાભાઈના જીવન-કવન વિશેની રજૂઆત સૌને સ્પર્શી ગઈ હતી.
આ વિજ્ઞાન પ્રદર્શનનું સમાપન તા.ર૭ને બુધવારે થશે. તળાજા, મહુવા, પાલીતાણા, જેસર તાલુકાના વિદ્યાર્થીઓ આ પ્રેરક પ્રદર્શન નિહાળી શકશે. જેનો સમય તા.ર૬ને મંગળવારે સવારના ૯ થી પ-૩૦ કલાકનો છે. તા.ર૭ના રોજ સમય સવારના ૯ થી ૩ કલાક સુધીનો છે. વિજ્ઞાન પ્રદર્શનને ખાસ વિષય ટકાઉ વિકાસ માટે નાવિન્યતા-નવીનીકરણ વિષય પર તા.ર૬ના પ-૩૦ થી ૭ સુધી જ્ઞાનગોષ્ઠી તેમજ રાત્રિના ૮ કલાકથી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

Previous articleયુનિ. મંડળીના સભ્યોને આનંદનો ગરબો બુકનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું
Next articleઆંતર કોલેજ ખોખોમાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન