ચેરપર્સન તરીકેનો પદભાર હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂતિ અભિલાષાકુમારીએ સંભાળ્યો

1391

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના ચેરપર્સન તરીકે આજે ગાંધીનગર ખાતે મણિપુર હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અને હિમાચલ પ્રદેશના વતની અભિલાષાકુમારીજીએ પદભાર સંભાળ્યો હતો.
આ પ્રસંગે પ્રોટોકોલ મુજબ પોલીસ દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ અને સલામી આપીને તેમનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ પાંચ વર્ષ સુધી આયોગના ચેરપર્સન તરીકેનો પદભાર સંભાળશે.
પદભાર સંભાળ્યા બાદ ચેરપર્સન અભિલાષાકુમારીએ માનવ અધિકાર આયોગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી આયોગની કામગીરી અને કાર્યક્ષેત્ર અંગેની માહિતી મેળવીને તેમની સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અભિલાષાકુમારીજી મણિપુર હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત થયા તે પહેલા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે તેમની સેવાઓ આપી ચૂક્યા છે.
કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલા આ પદભાર સમારોહ પ્રસંગે રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય એમ.એસ.શાહ, કાયદા સચિવ વોરા, માનવ અધિકાર આયોગના સચિવ એસ.બી.રાવલ, જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ તેમજ સંયુકત સચિવ પી.એલ.પંચાલે નવ નિયુક્ત ચેરપર્સન અભિલાષાકુમારીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

Previous articleબોરવેલ પાસેના ૧પ ફૂટ ઉંડા ખાડામાં પડેલી બે વર્ષની બાળકીને બચાવી લેવાઈ
Next articleકોપી કેસમાં પકડાયેલા દસમા ધોરણના ૯ વિદ્યાર્થીઓ પર ૨૦૨૧ સુધી પ્રતિબંધ