ધો.-૧૦નું રિઝલ્ટ ૨૮ મેના રોજ જાહેર થશે

1087

 

રાજ્યમાં લેવાયેલ ધોરણ-૧૦ના પરિણામની તારીખ આજે આખરે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ધોરણ-૧૦નું પરિણામ તા.૨૮મી મેના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ એ દિવસે સવારે ૮.૦૦ વાગે બોર્ડની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી પરથી પરિણામ જોઇ શકશે. જ્યારે વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી ૧૧.૦૦થી ૨.૦૦ દરમ્યાન  માર્કશીટ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ-૧૦ના પરિણામને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના અને ઇન્તેજારી જોવા મળી રહી છે. જો કે, આ વર્ષે ધોરણ-૧૦માં ગણિત વિષયનું પેપર ખૂબ અઘરૂ નીકળ્યું હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ રાતા પાણીએ રડયા હતા, જેની સીધી અસર ધોરણ-૧૦ના પરિણામ પર પડે તેમ હોઇ બોર્ડ સત્તાવાળાઓ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને ૧૨ માર્ક્સ સુધીના ગ્રેસીંગ માર્ક્સ આપવામાં આવે તેવી પણ શકયતા છે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કંઇક અંશે રાહત મળે. તો સાથે સાથે ધોરણ-૧૦નું બોર્ડનું પરિણામ પણ ઉંચુ લાવી શકાય. બીજીબાજુ, ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ચાલુ મહિનાના ત્રીજા સપ્તાહ એટલે કે તા.૩૦ મે સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે ૧.ર૦ કરોડ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે પરિણામ બનાવવાની કામગીરી ચાલુ છે. ધોરણ-૧૦નું પરિણામ હવે તા.૨૮મી મેના રોજ જાહેર કરવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ  ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી. ઓઆરજી વેબસાઇટ પર આ પરિણામ જોઇ શકશે. તા.૧ર માર્ચ, ર૦૧૮ના દિવસે ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા શરૂ થઇ હતી. જેમાં કુલ ૧૭ લાખ ૧૪ હજાર ૯૭૯ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં ધો. ૧૦ના ૧૧ લાખ ૩ હજાર ૬૭૪ વિદ્યાર્થી અને ધોરણ-૧ર સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત રાજ્યના ૧પ૪૮ કેન્દ્ર પર ૧૭,૧૪,૯૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં અમદાવાદ શહેરમાં કુલ ૧,૧૪,૮૮૦ વિદ્યાર્થીઓ, અમદાવાદ જિલ્લામાં ધોરણ ૧૦ના ૬૯,૩૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જયારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૩ર,૯૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ-૧૦માં ૭ ઝોન અને ૩૭ કેન્દ્ર તથા ર૩૯ પરીક્ષા સ્થળો, ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં પ ઝોન, ૩૧ કેન્દ્ર અને ૧૧૭ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાઇ હતી.  ઉલ્લેખનીય છે આ અગાઉ ધોરણ-૧૦ના પરિણામને લઇને તારીખો જાહેર કરવામાં આવી હતી, જો કે સરકાર દ્વારા આ તારીખને લઇને સ્પષ્ટતા કરાઇ હતી કે હજુ સુધી કોઇ સત્તાવાર તારીખ જાહેર કરાઇ નથી. પરીક્ષા સમિતિની બેઠક બાદ નિર્ણય લેવાની સ્પષ્ટતા પણ કરાઇ હતી, જેને પગલે આજે બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના પરિણામની સત્તાવાર તારીખ ૨૮મી મેની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના છવાઇ છે.

Previous articleગુજરાતના પાવર પ્લાન્ટ પર અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે