‘વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત’ પાયલોટ પ્રોજેકટનો શુભારંભ

2237

રાજ્યમાં એકાકી જીવન જીવતાં વયસ્કો વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવી ‘વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત’ પાયલોટ પ્રોજેકટ હાલ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યાન્વિત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. જેનો આજથી શુભારંભ થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજ સુધી ૨૦ થી વધુ વયસ્કોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, એમ ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ની યાદીમાં જણાવાયું છે.

જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, ગાંધીનગર અને રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ પ્રોજેકટ હેઠળ આજે એક ડૉકટર, એક નસ’ગ સ્ટાફ અને એક એટેન્ડન્ટની ટીમ દ્વારા રજિસ્ટર્ડ થયેલ વયસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં વયસ્કનું બીપી., વજન, સુગર, કાર્ડિયોગ્રામ, ટેમ્પ્રેચર શરીરમાં ઓક્સિજનની માત્રા વગેરેની તપાસ આનુષાંગિક સાધનો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોજેકટ અંતર્ગત દર ૧૫ દિવસે વયસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. બીપીન નાયક અને આર.એમ. ઓ. ડૉ. આર.એમ.ચૌહાણ દ્વારા આ પાયલોટ પ્રોજેકટનો શુભારંભ કરાયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ આજે સીનિયર મેડીકલ ઓફિસર ડૉ. પરેશ ગજ્જર અને તેની ટીમ દ્વારા રજિસ્ટર્ડ થયેલ વયસ્કોના ઘરે જઇને તેઓની તપાસ કરાઇ હતી.

Previous articleવિનામુલ્યે ચકલીનાં માળાનું વિતરણ
Next articleરાજુલા શહેરને પાણી પુરૂ પાડવા માટે ખેડૂતોએ પોતાના કુવાનું પાણી આપ્યું