શિહોલીથી હાઇવેને જોડતો રોડ નવો નહિ બનતા રોષ

1456

શિહોલી મોટીથી ચિલોડા હિંમતનગર હાઇવેને જોડતા કમરતોડ રોડથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ૨૦૦૮માં બનાવાયેલા રોડને પુનઃ નવા વાઘા પહેરાવવા ગ્રામજનો કચેરીના પગથિયા ચડીને થાકી ગયા છતા નવો બનાવાતો નથી.

શિહોલીમોટીના રહેતા લોકોને મહુન્દ્રા જવા રોડ બનાવાયેલો છે. જ્યારે ખેતી કરતા ખેડૂતો પણ પોતાના હાઇવે ઉપર આવેલા ખેતરમાં જવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ શિહોલીથી ચિલોડા હિંમતનગર હાઇવેને જોડતા ૧.૩ કીલોમીટરના ખાડા ટેકરાવાળા રોડથી પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા રોડને નવો કરવા માટે ડામરની કપચીના થિંગડા લગાવી દેવાયા હતા. પરંતુ ત્યારબાદ રોડ તહસનહસ થઇ જતા હાલમાં રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગામના અગ્રણી જગદીશભાઇ પટેલે કહ્યુ કે રોડને નવો બનાવવા માટે અનેકવાર જિલ્લાપંચાયતની લઇને સચિવાલય સુધી રજૂઆત કરી છે પરંતુ કોઇ ધ્યાનમાં લેતુ નથી. છેલ્લે વર્ષ ૨૦૦૮માં નવો રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ થાગડ થીગડ જ કરવામાં આવી રહી છે.

એક દાયકા સુધી રોડ બનાવવામાં આવતા ના હોય તેવુ ભાગ્યે જ જોવા મળી રહ્યુ છે. ત્યારે શિહોલીના ૧.૩ કીમીનો રોડ બનાવવામાં તંત્રને શા માટે દુઃખાવો થઇ રહ્યો છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમહાનગર પાલિકા દ્વારા રપ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત