રૂપાલાએ કરી શંકરસિંહ સાથે મુલાકાત, પકાવી રાજકીય ખીચડી ?

2268

આજે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ બીજેપીના ’સંપર્ક ફોર સમર્થન’ અભિયાન હેઠળ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી. રૂપાલાએ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડોમાં મુલાકાત કરતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. એક સમયે કોંગ્રેસના ટોચના નેતા રહેલા શંકરસિંહ અને રૂપાલા વચ્ચે સાંપ્રત રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. રાજકીય સૂત્રો મુજબ, આગામી લોકસભા ચૂંટણીને પગલે બન્ને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ઘણા સંકેત આપી જાય છે. હાલ શંકરસિંહ કોંગ્રેસ છોડી ચૂક્યા છે અને રાજકીય રીતે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથામણ કરી રહ્યા છે. જેને પગલે રૂપાલા અને વાઘેલા વચ્ચે કોઈ રાજકીય ખીચડી રંધાઈ હોવાની શક્યતા છે. ગુજરાતમાં ઓગસ્ટ-૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસની સાથે છેડો ફાડી શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા હતા. તેમની સાથે અન્ય ૧૪ જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. હવે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથમાં ફરી સળવળાટ થતો જોવા મળ્યો છે. ગત ૨૬મેના રોજ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની એક બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે. રાઉલજી, રામસિંહ પરમાર, રાઘવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

Previous articleJEE એડવાન્સ માટે સાત રાઉન્ડમાં કાઉન્સિલિંગ હશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે