વિવાદ થતા નવી ડમ્પિંગ સાઇટ શોધવા નિર્ણય

1255

ગાંધીનગરમાંથી દરરોજ નીકળતા ટન બંધ કચરાનો દેશની સર્વોચ્ચ અદાલતે આપેલી આદેશાત્મક માર્ગદર્શિકા પ્રમાણે નિકાલ કરવાનું તંત્ર રાજ્યના પાટનગરમાં જ ગોઠવી શકાતું નથી. છેલ્લે સરકારે મહાપાલિકા વિસ્તારના ૬૦થી વધુ ટન કચરાના નિકાલ માટે પેથાપુરમાં સરકારી પડતર પૈકી ૫૦ એકર જમીન ફાળવીહતી. તેની સાથે જ લોક વિરોધ શરૂ થતા આખરે પેથાપુરમાં ડમ્પિંગ સાઇટ ઉભી કરવાનો નિર્ણય પડતો મુકવામા આવતા આ મામલે નવો વળાંક આવ્યો છે.

મહાપાલિકાએ સત્તાવાર રૂપાંતર કર ભરીને આ જમીનનો કબ્જો સંભાળી લીધો છે પરંતુ હવે અહીં ડમ્પિંગ સાઇટના બદલે વ્હિકલ પૂલ સહિતની વ્યવસ્થા ઉભી કરાશે અને ડમ્પિંગ સાઇટ માટે સરકાર સમક્ષ નવેસરથી જમીનની માગણી કરવામાં આવશે. ગત વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરસભા સંબોધવા સમયે પેથાપુરમાં ડમ્પિંગ સાઇટ નહીં ખોલાય તેવી ખાતરીઓ ઉચારી હતી. પરંતુ ભાજપના ઉમેદવાર હારી ગયા પછી પેથાપુરમાં જ ડમ્પિંગ સાઇટ ઉભી કરવા સંબંધિ તમામ નિર્ણય સરકારે લેતા વિવાદનો મધપૂડો છેડાઇ ગયો હતો.

આખરે પેથાપુરમાં ડમ્પિંગ સાઇટ ઉભી કરવાનો નિર્ણય પડતો મુકાયો છે અન મનપા આ હેતુ માટે કલેક્ટર સમક્ષ જમીનની માગણી મુકવાની છે. મહાપાલિકા વેસ્ટ ટુ એનર્જી સિસ્ટમ અને કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલીશન વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અમલી બનાવવાની મથામણમાં છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે આ યોજના પાછળ પ્રાથમિક તબક્કે રૂપિયા ૮થી ૧૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે.

વેસ્ટ ટુ એનર્જી સિસ્ટમ અમલમાં આવે તો વિશ્વ આખામાં સમસ્યારૂપ બનેલી ડમ્પિંગ સાઇટના મેનેજમેન્ટની વાતનો અંત આવે તેમ છે. આ પદ્ધતિમાં દરરોજ કચરાનું સંપૂર્ણ વર્ગીકરણ કરાય છે. ભીનો અને સુકો કચરો અલગ કરવા ઉપરાંત સુકા કચરામાંથી કાગળ, પ્લાસ્ટિક, કાચ અને ધાતુને અલગ કરી દરેકને રી સાઇકલ કરાય છે. જ્યારે ભીના કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા સાથે ખાતર બનાવાય છે.

આધુનિક સાઇટ પર કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલીશન વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમપણ અમલી કરાશે. પરિણામે બાંધકામ ડેબ્રિઝ મતલબ કે નકામા ઇંટ, કોક્રિટના કાટમાળના કચરાનો ભૂક્કો કરી નાખીને તેનો ઉપયોગ પાયા પુરવામાં અને રોડના બાંધકામ વખતે લેવલિંગ થશે. આવી કામગીરી કરતી પેઢીઓના અધિકારીઓ દ્વારા આ સિસ્ટમ સંબંધેના પ્રેઝન્ટેશન પણ કરાયા છે. જો કે આવું તંત્ર ગાઠવાતા દોઢ વર્ષ લાગે છે. આ યોજના કાર્યાન્વિત થતા શહેરમાંથી નીકળતા કચરાને વેસ્ટમાંથી બેસ્ટનો નિયમ લાગુ પડશે.

Previous articleઅરણ્યભવન ખાતે આગ લાગી : ફાઈલ-સ્ટેશનરી બળીને ખાખ
Next articleરાજુલા પંથકમાં સિમેન્ટ ફેકટરીઓ દ્વારા પર્યાવરણ સપ્તાહની ઉજવણી