કોટડિયાને ભાગેડુ જાહેર કરી દેવા કોર્ટ પાસે માંગેલી મંજૂરી

1318

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડમાં   છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને સીઆરપીસીની કલમ-૮૨ હેઠળ ભાગેડુ(ફરારી) જાહેર કરવાની મંજૂરી માંગતી સીઆઇડી ક્રાઇમ દ્વારા એક મહત્વની અરજી સ્પેશ્યલ એસીબી કોર્ટમાં કરવામાં આવી છે. જો કે, કોર્ટે આ અરજી પરનો પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે, જે સંભવતઃ આવતીકાલે જારી કરાય તેવી શકયતા છે. ઉપરાંત આ જ કેસમાં પકડાયેલા આરોપી એડવોકેટ કેતન પટેલના ભાઇ જતીન પટેલ વિરૂધ્ધ સીઆરપીસીની કલમ-૭૦ર મુજબ, ધરપકડ વોરંટ જારી કરવા પણ સીઆઇડી ક્રાઇમ તરફથી અરજી કરાઇ છે, તેનો ચુકાદો પણ આવતીકાલે કોર્ટ દ્વારા જાહેર થવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, બીટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમના વારંવારના સમન્સ અને તાકીદ છતાં નલિન કોટડિયા તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થતાં અગાઉ સીઆઇડી ક્રાઇમ દ્વારા કોટડિયાની વિધિવત્‌ ધરપકડ માટે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં સીઆરપીસીની કલમ-૭૦ હેઠળ વોરંટ મેળવવા અરજી કરી હતી, જેમાં સ્પેશ્યલ એસીબી કોર્ટે આરોપી નલિન કોટડિયા વિરૂધ્ધ કલમ-૭૦ હેઠળનું તેમની ધરપકડ માટેનું વોરંટ જારી કર્યું હતું. જો આ વોરંટ બાદ પણ કોટડિયા હાથમાં નહી આવતાં હવે સીઆઇડી ક્રાઇમ તરફથી  નલિન કોટડિયાને ભાગેડુ(ફરારી) જાહેર કરવાની મંજૂરી માંગતી અરજી કરાઇ છે. જેમાં તપાસનીશ એજન્સી તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ચકચારભર્યા બિટકોઇન કેસમાં નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા રાજય બહાર હોવાની આશંકા પ્રવર્તી રહી છે અને તેને લઇ સીઆઇડી ક્રાઇમે છથી વધુ જુદી જુદી તપાસ ટીમોને દોડતી કરી છે. ચકચારભર્યા બિટકોઈન કેસમાં નાસતા ફરતા અમરેલી પોલીસના ૭ કોન્સ્ટેબલ તથા કેતન પટેલના ભાઈ જતિન પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સહિત નવ આરોપીઓની ધરપકડ આ કેસમાં હજુ બાકી છે.  એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી નલિન કોટડીયા નિર્દોષ હોવાના ખુલાસા આપી રહ્યા છે અને આ મામલે ગૃહમંત્રી અને સીઆઈડીને પત્ર લખીને તમાશો કરી રહ્યા છે. સીઆઇડી ક્રાઇમ તરફથી વારંવાર સમન્સ પાઠવવા છતાં અને તેમને તાકીદ કરવા છતાં કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કાનૂની સહારો લેવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે સંભવિત તમામ સ્થાનો પર કોટડિયાની તપાસ કરી પરંતુ કોટડિયા હજુ સુધી મળી આવ્યા નથી અને સમગ્ર કેસમાં નાસતા ફરે છે.

આ સંજોગોમાં કોર્ટે નલિન કોટડિયા વિરૂધ્ધ સીઆરપીસીની કલમ-૮૨ હેઠળ તેમને ભાગેડુ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવે. જેથી તપાસનીશ એજન્સી રાજયમાં કે રાજય બહાર આ સમગ્ર કૌભાંડની તપાસના ભાગરૂપે નલિન કોટડિયાની ધરપકડ માટે અન્ય પોલીસ કે એજન્સીઓની મદદથી સીઆરપીસીની કલમ- ૮૨ અને ૮૩ હેઠળની કાર્યવાહી કરી શકે. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ તરફથી આ કેસમાં ધરપકડ કરાયેલા એડવોકેટ કેતન પટેલના ભાઇ જતીન પટેલ પણ નાસતો ફરતો હોઇ તેની વિરૂધ્ધ પણ સીઆરપીસીની કલમ-૭૦ મુજબનું ધરપકડ વોરંટ જારી કરવા પણ અદાલતને વિનંતી કરી હતી. આ અરજીઓ પરની સુનાવણી પૂર્ણ થઇ જતાં સ્પેશ્યલ જજ પી.જે.તમાકુવાલાએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સંભવત : આવતીકાલે બંને અરજીઓનો ચુકાદો જાહેર કરી દેવાય તેવી શકયતા છે.

Previous articleરાજયમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે ગરમીના પ્રમાણમાં વધારો
Next articleપાક. જેલમાં કેદ અમદાવાદનાં કુલદિપ યાદવના બહેનને નોકરી આપવા હાઇકોર્ટનો આદેશ