મેયર પદે મનભા મોરી, ચેરમેન પદે યુવરાજસિંહની વરણી

1492

ભાવનગર મહાપાલિકાના અઢી વર્ષ માટે નવા મેયર, ડે.મેયર, સ્ટે. કમિટીના બાર સભ્યોની વરણી માટે સાધારણ સમગ્ર સભા મળી હતી. આ બેઠકમાં મેયર તરીકે મનભા મોરી, ડે. મેયર તરીકે અશોકભાઈ બારૈયા ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે સ્ટે. કમિટીના ચેરમેન પદે યુવરાજસિંહ ગોહિલને કમિટીએ સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા.

મેયર નિમુબેન બાંભણીયાના પ્રમુખ પદે મેયર, ડે.મેયર અને સ્ટે. કમિટીના ૧ર સભ્યોની ચૂંટણી કરવા બેઠક મળેલ. આ બેઠકમાં વિપક્ષ દ્વારા મેયર, ડે.મેયર અને ૧ર સભ્યોની સ્ટે. કમિટી સભ્યોની શાસક પાર્ટીની દરખાસ્ત સામે વિપક્ષે સામી દરખાસ્તો મુકતા શાસક (ભાજપ) પાર્ટીના ૩૪ સભ્યોની બહુમતીએ શાસક પાર્ટીના ૩૪ સભ્યોની બહુમતીએ શાસક પાર્ટીના પદાધિકારીઓ ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં નવ પેટા કમિટીઓની ચૂંટણી નવ પેટા કમિટીઓની પણ રરના કરી હતી. જેમાં આરોગ્ય, બાંધકામ વોટરવર્કસ, સોશ્યલ ડ્રેનેજ વિગેરેનો સમાવેશ થતો હતો. મળેલ બોર્ડ બેઠકમાં અઢી વર્ષના ભાજપ શાસકોની વિકાસલક્ષી કામગીરીને વિપક્ષ દ્વારા આવરી મેયર પદની સફળ કામગીરી માટે અભિનંદનો આપ્યા હતા. જેમાં વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલે વિકાસ ગાથાની વાત કરી તે સામે તેમણે ઓવરબ્રીજ અને અંગ્રેજી મીડીયમ સ્કુલ બાકી રહી જવા પામ્યાનું જણાવી વધુ સરાહના કરવાથી દુર રહ્યાં હતા.

જો કે ભરત બુધેલીયાએ અઢી વર્ષમાં શાસકોએ સુંદર કામગીરી કર્યાના અભિનંદન દીધા હતા. નિષ્ણાંત જ્યારે બોર્ડ કામગીરીના એવા રહીમ કુરેશીએ સરકારી નિયમની સમજણ આપી પ્રણાલીક મુજબ ચૂંટણી અંગે વાત કરી શુભકામના વ્યક્ત કરેલ. જ્યારે પારૂલ ત્રિવેદીએ પણ મેયરની કામગીરીને બિરદાવી હવે પછીની ટર્મના મેયર પણ નિમુબેન બને તેવી વધુ પડતી લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત અરવિંદ પરમારે તો શુભેચ્છા પ્રવચનમાં મેયરને ઈન્દીરા ગાંધી સાથે સરખાવી કંઈક અનોખી લાગણી વ્યક્ત કરી હતી.

મેયરે સમય સાથે પરિવર્તનની જરૂર એ પ્રક્રિયા મુજબ આ ચૂંટણી થઈ છે. અઢી વર્ષના મારા શાસનમાં પ્રજાકિય વિકાસના કામોની તેમણે વિગતો આપી હતી. શાસક પાર્ટીના દંડક રાજુભાઈ રાબડીયાએ શાસનકર્તા ભાજપ પાર્ટીએ અઢી વર્ષમાં પ્રજાલક્ષી કરેલા કામોની સરાહના કરી હતી. મળેલી આ બેઠકમાં સુરેશભાઈ ધાંધલ્યા, અભયસિંહ ચૌહાણ વિગેરેએ પણ ચૂંટાયેલા પદાધિકારીગણને શુભેચ્છા વ્યક્ત કરેલ. બોર્ડમાં ચૂંટાયેલા પદાધિકારીઓને અભિનંદનો દેવા સેવા સદન આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ડે.મેયર અને ભાજપના અગ્રણી ભરતસિંહ ગોહિલ, વનરાજસિંહ ગોહિલ, પૂર્વ ડે. મેયર જશુભા ગોહિલ, શહેર પ્રમુખ સનત મોદી, મહામંત્રી મહેશ રાવળ, રાજુભાઈ બાંભણીયા તથા પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયાએ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. મળેલ બોર્ડ બેઠકમાં કમિશ્નર ગાંધી, નાયબ કમિશ્નર ગાંધી, નાયબ કમિશ્નર ગોવાણી, ડે.કમિ. રાણા, સીટી એન્જી. ચંદારાણા વિગેરે અધિકારીગણ ઉપસ્થિત રહેલ. પદાધિકારીઓની આ ચૂંટણીમાં જેઓના નામો પદ માટે છેલ્લે સુધી ચાલુ રહ્યાં હતા. તેમાં છેલ્લી આખરી મંત્રણાઓમાં કેટલાક ફેરફારો થયા હતા. જેમાં યુવરાજસિંહને મેયરને બદલે સ્ટેન્ડીંગ ચેરમેનમાં મુકવામાં આવેલ. જો કે મેયર પદે યુવરાજને મુકવા પૂર્વ ડે. મેયર ભરતસિંહ ગોહિલ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે પટેલ સમાજમાંથી રાજુભાઈ રાબડીયા અને ધીરૂભાઈ ધામેલીયાના નામો પદાધિકારીમાંથી છેલ્લી ઘડીએ પડતા મુકાયા હતા. આ મુદ્દાની પણ ભાજપ નગરસેવકોમાં અંદર ખાને ચર્ચાનો દોર રહ્યો હતો. જો કે રાજુભાઈ રાબડીયાને આરોગ્ય કમિટીમાં મુકાયા અને ધીરૂભાઈ ધામેલીયાનો કારોબારી સભ્યોમાં સમાવેશ થતા લાગણી અને માંગણી જળવાય રહી હતી. કારોબારીના ૧ર સભ્યોમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ કરીને મહિલા નગરસેવિકાઓને પ્રોત્સાહિત કરાયા હતા. જ્યારે પરેશ પંડ્યાનું નામ પદાધિકારીમાંથી દુર રાખીને તેમને મ્યુ. કોર્પો. ભાજપ પાર્ટીના નેતા પદે ગોઠવી દીધા હતા. આમ પાર્ટી સંગઠનમાં પણ નેતાની અને દંડક તરીકે જલ્વીકાબેન ગોંડલીયાને પણ મહત્વ દેવાયું છે. ભાવનગર મહાપાલિકાના પદાધિકારીઓગણની આ ચૂંટણીમાં જે હોદ્દેદારોની વરણી કરાય છે તે ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને નજરમાં રાખીને કરાયાનું ભાજપ વર્તુળ દ્વારા જાણવા મળે છે.

ચૂંટાયેલા મેયર મનભા મોરી, ડે. મેયર અશોકભાઈ બારૈયા અને કારોબારી ચેરમેન યુવરાજસિંહ ગોહિલને શુભેચ્છા દેવા સેવા સદનમાં શુભેચ્છકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. કારોબારી કે અન્ય કમિટીઓમાં મેયર કે સ્ટે. કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા રહ્યાં નથી તે વિગત પણ કમિટીઓમાં સભ્યોની વરણી જોતા જાણવા મળ્યું છે. સ્ટે.કમિટીના પૂર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણ અને કૃણાલ શાહનો કારોબારીમાં સમાવેશ થતા પાર્ટીએ કમિટીઓમાં બેલેન્સ જાળવવા પ્રયાસો કર્યાનું ભાજપ વર્તુળમાંથી જાણવા મળે છે. નવ પેટા કમિટીઓના સભ્યોની વરણી થઈ છે. હવે આ નવે કમિટીના ચેરમેનોની વરણી સોમવારે થશે તેમ પાર્ટી વર્તુળ દ્વારા જાણવા મળે છે.

પરેશ પંડ્યા અને જલ્વીકાબેન ગોંડલીયાને મ્યુ. ભાજપ પાર્ટીમાં સ્થાન અપાયું

ભાવનગર મહાપાલિકા ભાજપ પાર્ટીના નેતા પદે પરેશ પંડ્યાની અને દંડક તરીકે જલ્વીકાબેન ગોંડલીયાની વરણી થતાની સાથે જ તેઓએ હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. ભાજપ સભ્ય વર્તુળમાં પરેશ પંડ્યાનું નામ સ્ટે.કમિટી ચેરમેન અથવા મેયર પદે ચર્ચાતું હતું. જ્યારે ડે. મેયર પદ માટે મહિલા નગરસેવીકા જલ્વીકાબેન ગોંડલીયાનું નામ પણ છેક સુધી ચર્ચા ધમધમતું હોવાની વાત સભ્ય વર્તુળમાંથી જાણવા મળે છે.

Previous articleગઢડા તાલુકામાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્કવોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ
Next articleપૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પડતો મુકી નિતીન પટેલ દિલ્હી પહોંચ્યા : રાજકિય માહોલ ગરમ બન્યો