ગાંધીનગર ખાતે ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સનો શુભારંભ

1833

દેશ-દુનિયામાં બનતી વિવિધ કુદરતી અથવા માનવસર્જિત ભયંકર ઘટનાઓમાં ભોગ બનેલા લોકોની યોગ્ય, સમયસર ઓળખ થાય અને સન્માનભેર તેની યોગ્ય  વ્યવસ્થા સંબંધિ સંશોધન અને અભ્યાસ કરવા માટે આજે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે શરૂ થયેલું વિશ્વની સૌ પ્રથમ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ ખૂબ મહત્વનું સાબિત થશે તેમ કાર્યક્રમનું ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુરે સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.

ગુજરાતે માનવહિતલક્ષી અનેકવિધ નવા-નવા ક્ષેત્રમાં પહેલ કરી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે વિશ્વની પ્રથમ ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ ની સ્થાપના માનવજાત માટે એક વિશેષ સિદ્ધિ છે. જે દેશ-દુનિયા માટે પ્રેરણારૂપ બની રહેશે. વિશ્વમાં ભૂકંપ, પૂર, વાવાઝોડું જેવી કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોની સાચી ઓળખ કરી તેમના મૃતદેહોને તેમના સ્વજનો સુધી સમયસર માનભેર પહોંચાડવા એ મોટી સમસ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસના સંયુકત ઉપક્રમે ગાંધીનગર ખાતે શરૂ થયેલા  આ સેન્ટર અને વિવિધ નવા અભ્યાસક્રમ તેમજ ત્રિદિવસીય વૈશ્વિક સીમ્પોઝીયમ હ્યુમેનીટેરીયમ ફોરેન્સિક્સ અનેકક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપશે અને મનુષ્યને મદદરૂપ થશે તેમ જણાવીને સમગ્ર વિશ્વ માટે ઉપયોગી એવું આ સેન્ટર શરૂ કરવા બદલ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એમ.ડી., ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસ અને ફેકલ્ટીઝને ડાગુરે અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (જી.એફ.એસ.યુ.)ના ડાયરેકટર જનરલ ડૉ.જે.એમ.વ્યાસે સ્વાગત પ્રવચન આપતાં કહ્યું હતું કે, દેશ અને દુનિયામાં અવાર-નવાર કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિ આવતી રહે છે. જેમાં મોટી સંખ્યામાં માનવસંહાર થતો જોવા મળે છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ થાય તેમજ તેમના મૃતદેહનો યોગ્ય રીતે અને સન્માનજનક રીતે નિકાલ થાય તે માનવતાની દ્રષ્ટિએ ઘણું જ જરૂરી છે. આ પ્રકારના સેન્ટરથી ઇમરજન્સીમાં આવા આપત્તિજનક બનાવ વખતે યોગ્ય મેનેજમેન્ટ અને પ્લાનીંગ અંગેની તાલીમ આપવામાં આવશે. આ સેન્ટર ખાતે વિવિધ શૈક્ષણિક તેમજ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ, તાલીમ અને ટેકનીકલ એક્સપર્ટીઝ પુરા પાડવા ઉપરાંત સંશોધન અને ઇનોવેટીવ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.

ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસ(આઇ.સી.આર.સી.)ના હેડ ઓફ રીજિયોનલ ડેલીગેશન જેરમી ઇન્ગ્લેન્ડે રેડક્રોસની વૈશ્વિક ક્ષેત્રે માનવહિત માટેની કામગીરીની રૂપરેખા આપતાં કહ્યું હતું કે, વિશ્વના પ્રથમ એવા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સના પ્રારંભથી વૈશ્વિક સ્તરે હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ ક્ષેત્રે જી.એફ.એસ.યુ. અને આઇ.સી.આર.સી. નવા કીર્તિમાન સ્થાપિત કરશે. જેરેમીએ ખૂબ જ ટૂંકાગાળામાં આ સેન્ટર શરૂ કરવા બદલ રાજ્ય સરકાર અને ખાસ કરીને જી.એફ.એસ.યુ.ના ડાયરેકટર જનરલ ડૉ. જે. એમ. વ્યાસનો આભાર વ્યક્ત કરીને આવનાર સમયમાં આ સેન્ટર તમામના સંયુકત પ્રયાસોથી સેન્ટર ફોર એકસીલન્સ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જી.એફ.એસ.યુ. ખાતે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડાગુરના હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વના સૌ પ્રથમ ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેન્ટર ફોર હુમેનિટેરિયન ફોરેન્સિક્સમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવવા માટે જી.એફ. એસ.યુ. અને આઇ.સી.આર.સી. વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય ઇન્ટરનેશનલ સિમ્પોઝીયમ ઓન હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સમાં વિવિધ વિષયોના ચાર સેશન અને એક પેનલ ડિસ્કશન યોજાશે. જેમાં ભારત સહિત ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ, આયર્લેન્ડ, જર્મની અને શ્રીલંકાના નિષ્ણાંત પોતાના વકતવ્યો આપશે.

Previous articleકલોલમાં ટ્રકની ટક્કરે રેલ વે ફાટક તૂટી પડતા દોડધામ
Next articleકળસાર ગામે બ્લડ ડોનેશન કેમ્પ