ભગવાન જગન્નાથની જળયાત્રામાં  નીતિન પટેલે ગંગાપૂજન વિધી કરી

1363

અષાઢી બીજે નિકળનારી ભગવાન જગન્નાથની નગરયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ રથયાત્રા પહેલા આજે સવારે ૮ વાગે જગન્નાથ મંદિરથી હાથી, બળદગાડાં, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિરેથી નીકળેલી જળયાત્રા સાબરમતીના સોમનાથ ભૂદરના આરે પૂર્ણ થશે.

ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા અષાઢી બીજે ખૂબ ધામધૂમથી નીકળશે. જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સરસપુર ભગવાનના મામાનું ઘર કહેવાય છે અને તે મંદિરમાં પણ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પૌરાણિક પરંપરા અનુસાર જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે આવતા હોય છે.જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી સાથે સાબરમતીમાંથી જળ લાવવામાં આવશે.

ભગવાન જગન્નાથજી ગાડામા સવાર થઈને સાબરમતી નદીના ભૂદર સોમનાથના આરે પહોંચી છે. જ્યાં રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગંગાપૂજન કરવામાં આવ્યું છે.

જળયાત્રામાં ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટેના ચંદરવા પહેલીવાર જગન્નાથ પુરીના કારીગરોએ તૈયાર કર્યા છે.

મહંતે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી સ્થાનિક કારીગરો કાપડ પર રેશમના દોરાનો ઉપયોગ કરી સુશોભન કરતા હતા. પરંતુ આ વખતે પુરીના કારીગરોએ આ ચંદરવો તૈયાર કર્યો છે. જેમાં રંગીન દોરા, ઊન સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ૧૦૮ જેટલા કળશને પણ લઈ જવામાં આવશે અને તેમાં પવિત્ર જળ ભરીને લાવવામાં આવશે. તેનાથી ભગવાનનો અભિષેક કરાવીને ભગવાન ગજવેશ ધારણ કરશે. પૂજન વિધિ બાદ ૧૦૮ કળશમાં જળ ભરી જળયાત્રા સવારે ૧૦ વાગે મંદિરે પરત ફરશે.

મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. ત્યારબાદ ભગવાનના ભક્તોને ગજવેશમાં દર્શન કરાવાશે. આ ઉત્સવ દરમિયાન બપોરે મંદિરમાં ભંડારો પણ યોજાશે. આ જળયાત્રાની સાથે રથયાત્રાની પરંપરાગત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.

Previous articleગાંધીનગર ભાજપ દ્વારા કોંગ્રેસના સૈફુદીન સોજના ઉચ્ચારણોનો વિરોધ
Next articleલોક સરકારમાં સૌરાષ્ટ્ર ઝોનના સહ પ્રભારી તરીકે રાણપુરના પરવેઝ કોઠારીયાની નિમણુક કરાઈ