હજ યાત્રાએ જનારા લોકોનો તાલીમ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો

1065

ગુજરાત રાજય હજ કમિટી દ્વારા ચાલુ સાલે ર૦૧૮માં જનાર હજ યાત્રીકોને તાલીમ આપવા માટેનો એક કાર્યક્રમ હજ સમિતિના ચેરમેન પ્રિન્સીપાલ મોહંમદઅલી કાદરીના પ્રમુખ સ્થાને અમદાવાદના ટાઉનહોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાંથી હજયાત્રાએ જનાર એક હજાર બસોથી પણ વધારે હાજીઓને તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે હજયાત્રીઓને શુભેચ્છા પાઠવતાં હજ કમિટિના ચેરમેન પ્રિ. મોહંમદઅલી કાદરીએ જણાવ્યું હતું કે ચાલુ સાલે ગુજરાતમાંથી ૪૪૦૦૦ અરજીઓ આવી હતી તેમાંથી અમને મળેલ ક્વોટા મુજબ ૬૯૦૦ હાજીઓ નસીબદાર બન્યા છે. નસીબદાર લોકો મક્કા-મદીના જઈ આપના કુટુંબ, સમાજ, કોમ અને આપણા મહાન રાષ્ટ્ર ભારતની શાંતિ અને પ્રગતિ માટે અલ્લાહથી દુઆ કરશો હજ પઢીને પરત આવ્યા બાદ હાજીના વર્તનમાં ફેરફાર થવો જોઈએ અને આપણા વાણી-વર્તન- વેહવારથી આપણા સમાજના અને દેશના લોકોને ખુશ રાખવા જોઈએ.

પ્રિ. કાદરીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ સબસીડીના નામે મુસ્લિમોને વર્ષો સુધી લોલીપોપ આપી હતી. હાજીને કદી સબસીડી મળતી નહીં ઉપરથી ભાઈબંધ કોમમાં અળખા થવુ પડતું હતું. ખુદ મુસ્લિમ ધર્મ ગુરૂઓ અને નેતાઓ પણ ઈચ્છતા હતા કે આ નામની હજ સબસીડી બંધ થાય. છેવટે સુપ્રિમ કોર્ટના આદેશથી જયારે આ સરકારે હજ સબસીડી બંધ કરી છે ત્યારે હજ સસ્તી કરવા માટે ભારત સરકારને ગુજરાત રાજય હજ કમિટિના ચેરમેન પાણીના જહાજથી હાજીઓને હજયાત્રા કરાવવાનું સૂચન કરેલ જે સરકારે  સ્વીકારતાં વર્ષ-ર૦૧૯ની હવે હવાઈ જહાજના બદલે પાણીના જહાજથી હાજીઓ મક્કા મદીના જશે.  જીવનમાં એક વખત પણ હજ કે ઉમરાહ કરેલ હોય તેમની પાસેથી વધારાના પાત્રીસ હજાર બસો રૂપિયા લેવાના સાઉદી સરકારના તઘલખી ફરમાનનો પ્રિ. મોહમ્મદઅલી કાદરીએ સાઉદી સરકાર સમક્ષ વિરોધ નોંધાવવા ભારત સરકારને વિનંતી કરેલ હતી.

સમારંભમાં ઉપસ્થિત હજ કમિટીના રાજય અને અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજય હજ કમિટિના ચેરમેન પ્રિ. મોહમ્મદઅલી કાદરીએ તથા સમિતિએ હાજીઓ માટે કરેલ સુંદર કામગીરીની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતાં. શેખે જણાવ્યું હતું કે પૈસાવાળા નહિં પરંતુ નસીબદાર લોકો જ હજ યાત્રાએ જતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે હજના સમયગાળામાં હાજીઓએ પોતાનું મહત્તમ સમય ઈબાદત-બંદગીમાં પસાર કરી પોતાના અને દેશ માટે દુઆઓ કરવી જોઈએ.

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે સબસીડી બંધ થયા પછી પણ હજ પઢવા જનારાઓની સંખ્યામાં ઓટ આવી નથી. દરેક મુસ્લિમ જીવનમાં એક વખત મક્કા મદીના જવાનું સપનું જોતો હોય છે.

ગુજરાત પોલીસના એ.સી.પી. અમદાવાદ શહેર ઈમ્તિયાઝ શેખે હજ યાત્રાએ જતા લોકોને મુબારકબાદ આપી હતી. હજ કમિટિના સભ્ય અને તાજેતરમાં જ વકફબોર્ડના ચેરમેન તરીકે નિયુકત થયેલા સજ્જાદ હીરાનું રાજય હજ કમિટી વતી ચેરમેન મોહંમદઅલી કાદરીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સજ્જાદભાઈએ હાજીઓ માટે હજ કમિટીની અને ગુજરાત સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી.

સમારંભ હજ કમિટીના સભ્યો યાસીન અજમેંવાલા, યુનુસ તલાટ, યુનુસ મહેતર, હજ કમિટિના ટ્રેનર્સ અને અમદાવાદના ફીલ્ડ ટ્રેનર્સ ઉપસ્થીત રહ્યા હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન મૌલાના હનીફ સાહેબે કર્યું હતું.

Previous articleદુષ્કર્મના ગુનામાં ફરાર વડલીનો શખ્સ ઝડપાયો
Next articleઆત્મવિશ્વાસ સેમિનાર યોજાયો