ફી નિયમન મુદ્દે એટર્ની જનરલ સાથે કાલે શિક્ષણમંત્રીની દિલ્હીમાં બેઠક

1561

ફી નિયમન મુદ્દે નામ. સપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની પૂર્વ તૈયારી અને ઇતર પ્રવૃત્તિઓની ફી નક્કી કરવાના મુદ્દે શાળા સંચાલકો તથા વાલીઓ તરફથી મળેલી રજૂઆતોના સંદર્ભે આવતીકાલે નવી દિલ્હી ખાતે એટર્ની જનરલ વગેરે સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી બંને તરફથી મળેલી રજૂઆતો સંદર્ભે નામ.સુપ્રિમ કોર્ટ સમક્ષ સામેની રજૂઆતોના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરશે. શિૅક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવતીકાલે એટર્ની જનરલ વેણુ ગોપાલ, સિનિયર એડવોકેટ સુંદરમ તથા એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે પણ બેઠક યોજશે.

નામ. સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ શાળાઓની ઇત્તર પ્રવૃત્તિઓની ફી  અંગે શાળા સંચાલકો સાથે રાજ્ય સરકારે બેઠક યોજીને તેમની રજૂઆતો સાંભળી હતી. એજ રીતે જે વાલીઓએ નામ. સુપ્રિમ કોર્ટમાં ફી નિયમન અંગે રજૂઆતો કરી છે. તેવા વાલીઓની રજૂઆત સાંભળી આ અંગે સર્વસંમત ફોર્મ્યુલા તૈયાર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે શિૅક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે ગાંધીનગર ખાતે વાલીમંડળના પ્રતિનિધિઓની પણ બેઠક બોલાવીને ઇત્તરપ્રવૃત્તિ ફી અંગેની તેમની રજૂઆતોને પણ સાંભળી હતી. આ બેઠકમાં ચૂડાસમાએ વાલીઓના પ્રતિનિધિઓને હૈયાધારણ આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમે નામ. સુપ્રિમ કોર્ટમાં વાલીઓના હિતમાં સાનુકૂળ નિર્ણય આવે તેવા તમામ પ્રયાસો કરવા સંકલ્પબદ્ધ છીએ અને આવતીકાલની એટર્ની જનરલ વગેરે સાથેની બેઠકમાં આ મુદે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ફી નિયમન અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં સર્વસંમત ઉકેલ લાવવા જે હેતુથી રાજ્ય સરકાર રાજ્યની સ્વનિર્ભર શાળાઓની ફી અંગે જે કાયદો લાવી છે તે હેતુ સાકાર થાય તે દિશામાં રાજ્ય સરકાર તમામ કાનૂની પ્રક્રિયા અને નામ. સુપ્રિમ કોર્ટમાં વચગાળાના આદેશ મુજબ આગળ વધી રહી છે અને વાલીઓના પ્રતિનિધિઓ સાથેની આજની બેઠક પણ આ પ્રક્રિયા અંતર્ગત જ બોલાવાઇ છે. આજે શિક્ષણ મંત્રી સાથે યોજાયેલ બેઠક અને ફી નિયમન મુદે રાજ્ય સરકારના પ્રયાસો અને અભિગમ પર વાલીમંડળના પ્રતિનિધિઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

Previous articlePM મોદી ૨૧-૨૨ જુલાઈએ ગુજરાત આવશે, રાજકીય સ્થિતિની કરશે સમીક્ષા
Next articleબોટાદના ખોજાવાડી વિસ્તારમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝબ્બે