જિલ્લામાં આગોતરા વાવેતરમાં સૌથી વધુ ૧૩ હજાર હેકટરમાં કપાસનું વાવેતર થઇ ચુક્યુ છે. ઘણા ખેતરોમાં કપાસ ૧ માસનો થઇ ચુક્યો છે. કપાસ પર ફુલ બેસવાનાં ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારે ફુલ બેસવા સાથે ગુલાબી ઇયળ આવવાની શકયતા વર્તાઇ રહી છે. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કપાસનું વાવેતર કરનાર ખેડુતો માટે કપાસને ગુલાબી ઇયળથી બચાવવા માટે માર્ગદર્શીકા જાહેર કરી છે.
દહેગામ તાલુકામાં ૨૦૫ હેકટર, ગાંધીનગર તાલુકામાં ૫૫૫૩ હેકટર, માણસા તાલુકામાં ૩૯૦૫ હેકટર તથા કલોલ તાલુકામાં ૧૪૦૦ હેકટરમાં કપાસનું વાવેતર ગત સપ્તાહે નોંધાયુ હતુ. કપાસનાં વાવેતર બાદ છોડ ૪૫ દિવસનો થતા ફુલ આવવા લાગે છે. ત્યારે જિલ્લામાં છેલ્લા ૩ વર્ષથી કપાસમાં ગુલાબી ઇયરનો ઉપદ્રવ વધી રહ્યો છે. ફુલ બેસવા સાથે કપાસમાં આવતા ફુદા ફુલમાં ઇંડા મુકે છે. જેમાંથી ગુલાબી ઇયર બને છે અને ફુલમાંથી જીંડવા બનતા ઝીંડવામાં અંદર મોટી થવા લાગે છે. જીંડવાનાં ગર્ભને ખાઇને પોલા કરી મુકે છે. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો પણ દવા અંદર ન જઇ શકતી હોવાથી ઇયળ મરતી નથી.