પાટનગરને દબાણ મુક્ત કરવા શરૂ કરાયેલી ઝુંબેશ રવિવારે રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવતા લારી, ગલ્લા મનફઆવે ત્યાં મુકીને વેપાર કરતા વેપારીઓ દ્વારા નાશ ભાગ મચાવવામાં આવી હતી. દબાણ હટાવ ટુકડીએ શહેરના સેક્ટર ૭, ૧૧, ૨૧ અને ૨૪માં વ્યાપારી વિસ્તારો તથા જાહેર સ્થળો આસપાસ મુકી દેવામાં આવેલા ખાણી પીણી સહિતની ચીજ વસ્તુનું વેચાણ કરતા લારી, ગલ્લા ઉઠાવી લેવામાં આવ્યા હતાં. સવારથી જેસીબી મશીનો સાથે રાખીને શરૂ કરાયેલી આ કાર્યવાહી દરમિયાન સાંજ સુધીમાં ૯૫ જેટલા લારી ગલ્લા જપ્ત કરી લેવામાં આવ્યા હતાં. જેમાં હરસિદ્ધનગરમાં તો એક વેપારીએ મુકેલા ગલ્લાના કારણે રસ્તો જ બંધ થઇ ગયો હતો. લારી, ગલ્લાની સાથે ગેરકાયદે લગાવી દેવાયેલા બોર્ડ અને ર્હોડિંગ્સ પણ ખસેડી દેવામાં આવ્યા હતાં.
પાટનગરમાં છેલ્લા ૩ દાયકાથી આવા દબાણ ખસેડવાની કાર્યવાહી સમયાંતરે કરવામાં આવતી રહી છે. પરંતુ નાના વેપારીઓને વિવિધ સેક્ટરોમાં યોગ્ય જગ્યાની ફાળવણી હંગામી ધોરણે પણ કરવામાં આવતી નહીં હોવાથી સ્થાનિક નાના વેપારીઓ ફરી ફરીને દબાણ કરતા રહે છે.