રાજ્યના ૩૩ જિલ્લાઓમાં યોજાનારી રથયાત્રાઓનું રાજ્યકક્ષાએથી મોનીટરીંગ કરાશે : ગૃહમંત્રી જાડેજા

1431

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા શ્રદ્ધાપૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સુસજ્જ છે.

તા.૧૪મી જુલાઇના રોજ રાજ્યભરમાં યોજાનાર રથયાત્રા-શોભાયાત્રા સંદર્ભે આજે ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળે છે. આ માટે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગે વિશેષ કાળજી લઇને પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે તે માટે ખાસ પગલાં લેવાયા છે. અમદાવાદ સહિત જિલ્લાઓમાં યોજાનાર રથયાત્રાનું રાજ્યકક્ષાએથી સતત મોનીટરીંગ કરાશે.  જાડેજાએ ઉમેર્યું કે, ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની ૧૧૭, અન્ય દેવી-દેવતાઓની ૪૭ મળી કુલ ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રા નીકળશે. જેમાં ૧૫ જિલ્લામાં મોટી જનમેદનીવાળી ૧૮ સંવેદનશીલ રથયાત્રાઓ છે. આ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે એસ.પી., ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીઓની નિયુક્ત કરીને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં કુલ ૧૧ જેટલી રથયાત્રા નીકળનાર છે તે અંગે ૧ આઇ.જી/ડી.આઇ.જી., ૧ એસ.પી., ૧૫ ડીવાય.એસ.પી., ૩૬ પી.આઇ., ૧૧૦ પી.એસ.આઇ. કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાઇ છે. એજ રીતે આણંદ જિલ્લામાં ૧૫ રથયાત્રા સંદર્ભે ૧ આઇ.જી/ડી.આઇ.જી., ૧ એસ.પી., ૬ ડીવાય.એસ.પી., ૧૯ પી.આઇ., ૬૬ પી.એસ.આઇ. તથા વડોદરા શહેરમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે ૧૦ પી.આઇ. અને ૨૦ પી.એસ.આઇ. કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૭ જેટલી એસ.આર.પી.એફ.ની કંપનીઓ સ્ટેન્ડબાય રહેશે જે આકસ્મિક સંજોગોમાં રાજ્યના પોલીસ વડા દ્વારા ફાળવવામાં આવશે.

આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ. ડાગુર, ગૃહ વિભાગના અગ્ર સચિવ  મનોજ અગ્રવાલ, રાજ્યના ડી.જી.પી.  શીવાનંદ ઝા, એડીશનલ ડી.જી.પી. વી.એમ.પારઘી, સી.આઇ.ડી. ઇન્ટેલીજન્સના ઇન્ચાર્જ ડી.જી.પી. આર.બી.બ્રહ્મભટ્ટે ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી જરૂરી પરામર્શ કર્યો હતો.

Previous articleરાજ્યસભા ચૂંટણી વિવાદઃ અહેમદ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત
Next articleરથયાત્રાના રૂટ પર રેઢીયાર પશુના ડેરા-તંબુ