રાજયપાલ ઓ.પી. કોહલી અડાલજ ખાતે ‘‘છેરા પહનરા’’ વિધિમાં ભક્તિભાવ પૂર્વક જોડાયા

1745

ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીએ અષાઢી બીજના મંગલ પ્રભાતે અડાલજ ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે યોજાયેલા ઉત્સવોમાં ભક્તિભાવ પૂર્વક જોડાઈને ભગવાન જગન્નાથજીની ‘‘છેરા પહનરા’’ વિધિ સંપન્ન કરી હતી.

રથયાત્રાના આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીની ‘‘છેરા પહનરા’’ વિધિમાં ભક્તિભાવ પૂર્વક જોડાઈને રાજયપાલે ભાવના વ્યક્ત કરી હતી કે,  આ ‘‘છેરા પહનરા’’ વિધિ શ્રમની ગરિમાનું પ્રતિક છે. આ વિધિ ભગવાન સમક્ષ રાજા અને રંક એક સમાન છે એવો ભાવ દર્શાવે છે એમ પણ રાજયપાલે ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજયપાલ ભગવાન જગન્નાથજીની મહા આરતીમાં પણ જોડાયા હતા. તેમણે સો ભક્તજનોને અષાઢી બીજના પાવન પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી, સાથે સાથે રાજયપાલએ કચ્છી નૂતન વર્ષના આ શુભ અવસરે કચ્છી માડુને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. આ પાવન પ્રસંગે રાજયપાલે વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે મંદિરના સંકુલમાં સુવર્ણ ચંપાનો છોડ વાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય સચિવ જે.એન.સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમીના અધ્યક્ષ ડૉ. એસ.કે. નંદા, ઉપાધ્યક્ષ મહેશ્વર સાહુ, સભ્ય સચિવ બદ્રી મહાપાત્ર, એચ.કે. દાસ સહિત એકેડમીના સભ્યો અને બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસ્વર્ણિમ સંકુલ સામે રખડતી ગાયોએ બાઈકને અડફેટે લેતાં મહિલાને ગંભીર ઈજા
Next articleપાલીતાણામાં જગન્નાથજી રથયાત્રામાં રાજકીય આગેવાનોએ દર્શન કર્યા