અમદાવાદ : માનવ મહેરામણ વચ્ચે જગન્નાથજીની યાત્રા સંપન્ન

1783

દેશમાં પુરી બાદ બીજી સૌથી મોટી અને મહત્વપર્ણ ગણાતી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા આજે અમદાવાદ શહેરમાં યોજાઈ હતી. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે રથયાત્રા પરંપરાગત  રુટ ઉપર ફરીને મોડી સાંજે નિજમંદિરમાં પરત ફરી હતી.  જગતના નાથ  જગન્નાથ પોતે બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સાથે સવારે સાત વાગે નગર ભ્રમણ પર નિકળ્યા હતા. હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત રથયાત્રા નિકળી હતી. આ વખતે કેટલીક બાબત પ્રથમ વખત જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથ ૧૩ કલાક માટે નગર પરિભ્રમણ પર નિકળ્યા બાદ જુદા જુદા રૂટ પર તેમના સ્વાગત અને દર્શન માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરતા નજરે પડ્યા હતા. ભારે ઉત્સાહ દેખાયો હતો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે તમામ જગ્યાએ ભારે ઉત્સાહિત દેખાયા હતા. શ્રદ્ધાળુઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રયયાત્રા  આજે સવારે જગન્નાથ મંદિરથી શરૂ થઇ હતી.  આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપી રહ્યા છે.  આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો  મંગાવવામાં આવ્યા હતા. આજે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતી યોજાઇ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા. જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન  કરાવ્યુ હતુ. આની સાથે જ ભગવાનની યાત્રા શરૂ થઇ હતી.  રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતના નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે.  ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા નજરે પડ્યા હતા. આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પહોંચી ગયા હતા. આજે  વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાયા હતા. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરવામાં આવ્યા હતા. સવારે ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થયો હતો. વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાયો હતો. જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદ સ્વરુપે વિતરિત કરવામાં આવ્યા હતા. રથયાત્રા નિકળ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને ભગવાનનુ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યુ હતુ.  આ વખતની રથયાત્રામાં સૌપ્રથમવાર ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતોએ હાજરી આપી હતી.  જેમાં ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્રગીરીજી મહારાજ, જગદ્‌ગુરુ રામાનંદાચાર્ય એવા હંસદેવાચાર્યજી મહારાજ અને જૂનાગઢના હીરીગીરીજી મહારાજ સહિતના દિગ્ગજ સંતો પધાર્યા હતા.  સાથે સાથે કુંભમેળાના દિવ્ય સાધુ-સંતો અને મહંતો પણ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુર ખાતે છેલ્લા કેટલાક દિવસથી પ્રસાદ માટે મગ અને અન્ય ચીજવસ્તુઓને સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.  પ્રસાદ તૈયાર કરવાની પ્રક્રિયા ગઇકાલે પૂર્ણ કરી લેવામાં આવી હતી.  ઐતિહાસિક રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. રથયાત્રા રૂટ ઉપર સુરક્ષા જવાનો પણ ગોઠવાઈ ગયા હતા.   કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા તથા રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે પસાર કરવા તંત્રએ કમરકસી લીધી હતી. સમગ્ર યાત્રા દરમિયાન સીસીટીવી, નેત્ર અને કન્ટ્રોલરૂમ મારફતે આખી રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા સાવચેતીના તમામ પગલા લેવાયા હતા. રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળીને જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળ લીમડા ,આસ્ટોડીયા ચકલા, મદન ગોપાલની હવેલીથી, રાયપુર ચકલા, ખાડિયા ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલથી કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે. સરસપુરમાં વિરામ બાદ કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, માણેકચોક થઈને ગોળ લીમડા, ખમાસા થઈને નીજ મંદિરે પાછી ફરી હતી.  સોનાના હીરા-માણેક જડિત મુગટ અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગારમાં રથમાં બિરાજમાન જગતના નાથ જગન્નાથજી ભગવાનના ગૌ બ્રાહ્મણ પ્રતિપાલકના સ્વરૂપના દર્શન કરી લાખો શ્રધ્ધાળુ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા આજે લાખોનો માનવમહેરામણ શહેરના માર્ગો પર જાણે કિડિયારાની જેમ ઉભરાયો હતો. ઐતિહાસિક અને અનન્ય મહાત્મ્ય ધરાવતી રથયાત્રાને લઇ આજે શહેરમાં જાણે ભકિતનું ઘોડાપૂર ઉમટયું હતું. જય જગન્નાથ, જય રણછોડના ભકિતનારા સાથે શહેર આખું જાણે જગન્નાથમય બન્યું હતું.  સુંદર રીતે શણગારાયેલા ગજરાજોને સૌથી પહેલા ભગવાનના દર્શન કરાવાયા હતા અને ત્યારબાદ ૭-૧૦ મિનિટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે સોનાની સાવરણથી પહિંદવિધિ બાદ તેઓએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.  રથયાત્રા જેવી મંદિર પરિસરથી શરૂ થઇ કે જય જગન્નાથ, જય રણછોડના ભકિતનારા ગુંજી ઉઠયા હતા, જાણે ભકિત અને પ્રેમનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હોય. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના મહાનુભાવો પણ ખાસ જીપમાં સવાર થઇ રથયાત્રામાં જોડાયા હતા. સમગ્ર રૂટ દરમ્યાન મહંત દિલીપદાસજીને વંદન કરવા દર્શનાર્થીઓએ પડાપડી કરી હતી.

Previous articleશંકરસિહના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં : તર્ક-વિતર્કો જારી
Next articleઅમરેલીના લીલીયામાં પાંચ ઇંચથી વધારે વરસાદ પડ્યો