જિલ્લાના ૨૫૦ ગામોમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફીટ કરાશે

2208

ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળો ગ્રામ્યવિસ્તારોમાં ફેલાતો હોય છે  ત્યારે ગાંધીનગર જિલ્લામાં સરકારી ચોપડા પ્રમાણે ૪૦ ટકા વિસ્તારોમાં પાણીના ક્લોરીનેશન પ્લાન્ટ છે જ્યારે ૬૦ ટકા ગામોમાં પ્લાન્ટ નથી ત્યારે બાકી રહેલા ૨૫૦થી પણ વધુ ગામોનાં ૨૮૦ જેટલી ટાંકીઓમાં ક્લોરીનશન પ્લાન્ટ ફિટ કરવા માટે તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ આજે સંચારી રોગની બેઠકમાં તમામ ગામોમાં લીક્વીડ ક્લોરીનેશન પ્લાન્ટ ફીટ થાય તે પ્રમાણેનું આયોજન કરવા માટે સુચના આપી છે જેની પાછળ ૪૦ લાખ જેટલો રૃપિયાનો ખર્ચ પણ અંદાજવામાં આવ્યો છે. તો બંધ રહેલા ક્લોરીનેશન પ્લાન્ટને સત્વરે શરુ કરી દેવા માટે સુચના આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં સંચારી રોગ અંગેની આજે કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ બેઠક મળી હતી તેમાં જિલ્લાના મોટાભાગના તમામ ગામોમાં બ્લીચીંગ પાવડરની મદદથી પાણીનું ક્લોરીનેશન થાય છે જે કર્યા બાદ પણ ઘણી જગ્યાએ પાણીમાં ક્લોરીનેશનની માત્રા ઓછી હોવાનું તેમજ પાણીના રીપોર્ટ નેગેટીવ હોવાનું સામે આવ્યું છે ત્યારે પાણીજન્ય ગણાતા કમળો અને ટાઇફોઇડ સહિત ઝાડા-ઉલ્ટીના કેસ ઘટે અને ગ્રામ્યવિસ્તારના રહિશોનું આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે હવે તમામ ગામોમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફિટ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ સુચના આપી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે હાલની સ્થિતિએ ગાંધીનગર જિલ્લાના ૩૦૦થી પણ વધુ ગામોમાં ફક્ત ૮૦ જેટલા ગામોમાં જ ક્લોરીનેશન પ્લાન્ટ ફિટ કરવામાં આવ્યા છે ત્યારે ૬૦ટકાથી પણ વધારે ગામોમાં હજી સુધી શુધ્ધ પિવાલાયક પાણી પણ પહોંચાડવામાં આવતું નથી અને આ ગામોમાં ગમે ત્યારે પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ છે ત્યારે આ પ્લાન્ટથી વંચિત ગામોમાં લીક્વીડ ક્લોરીનેશન પ્લાન્ટ ફિટ કરવામાં આવે તે માટેની સુચના પણ જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી. કલેક્ટર અને ડીડીઓ દ્વારા જિલ્લાના આરોગ્ય તંત્રને  આ અંગે સુચના આપી દેવામાં આવી છે. જેમાં લીક્વીડ ક્લોરીનેશન પ્લાન્ટ  ન હોય તેવા ગામોની યાદી તૈયાર કરીને તેમાં પ્લાન્ટ ફિટ કરવા માટેનો ખર્ચ સહિતની વિગતો તૈયાર કરવામાં આવશે અને જિલ્લા આયોજન મંડળની તેમજ ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટમાંથી તે ખર્ચ કરીને જિલ્લાના તમામ ગામોમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફિટ કરવામાં આવશે. જેની પાછળ પ્રાથમિક દ્રષ્ટીએ ૪૦થી ૫૦ લાખ રૃપિયાના ખર્ચ થશે. ત્યારે આ પ્લાન્ટ ફિટ કર્યા બાદ પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે. નારદીપુરમાંથી ઝાડા-ઉલ્ટીના કેસ મળતા સરપંચને નોટિસ ગાંધીનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં આપવામાં આવતા નર્મદા કેનાલના પાણીનું યોગ્યરીતે શુધ્ધીકરણ નહીં કરવાના કારણે પાણીજન્ય રોગચાળો થવાની શક્યતા વધી જાય છે તેવી સ્થિતિમાં નરાદીપુર ગામમાં બે દિવસમાં ઝાડા-ઉલ્ટીના છુટાછવાયા પાંચ જેટલા કેસ મળી આવતા આરોગ્ય તંત્ર તુરંત જ હરકતમાં આવી ગયું હતું અને આ છુટાછવાયા કેસ રોગચાળામાં ફેલાય ન જાય તે માટે કામગીરી કરવામાં આવી હતી જે અંતર્ગત તમામ ઘરોમાં પાણીના ક્લોરીનેશન માટેની ટેબલેટ આપી દેવામાં આવી હતી તો ગામમાં ગંદકી ન રહે તેમજ ગ્રામજનોને શુધ્ધ પીવાલાયક પાણી મળી રહે તેની જવાબદારી જેમના શીરે છે તેવા સરપંચને આ બાબતે નોટિસ આપીને ગામમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફીટ કરવા માટે સુચના આપી છે.

Previous articleદહેગામમાં આડેધડ લારીઓ ઉભી રાખતા વેપારીઓ -રહિશો વચ્ચે વિવાદ
Next articleનંદકુવરબા કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયુ