નવરાત્રિમાં રાજયની તમામ શાળા અને કોલેજોમાં વેકેશન

1199

રાજ્ય સરકાર દ્વારા આજે એક ઐતિહાસિક અને શિક્ષણલક્ષી નિર્ણય નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્યની તમામ સરકારી શાળા-કોલેજો, યુનિવર્સિટીમાં નવરાત્રિ વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનાં શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવેએ આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, રાજ્યની તમામ સરકારી શાળા-કોલેજો, યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને સુચારૂ રૂપે એક સાથે તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મુકવામાં આવ્યું છે.           રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઇ શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થી-વાલીઆલમમાં પણ મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર લેવાયેલા નિર્ણય મુજબ, હવે રાજ્યની તમામ સરકારી કોલેજો અને યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મુકવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સત્રમાં ૯૫ તેમજ દ્વિતીય સત્રમાં ૧૦૨ દિવસનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે.

જેના પગલે આ વખતે રાજયના શિક્ષણજગતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૭ દિવસનું નવરાત્રિ વેકેશન અપાશે તેવું નવા શૈક્ષણિક કેલેન્ડરમાં દર્શાવવામાં આવ્યું છે. આ કોમન એકેડેમિક કેલેન્ડર મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમમાં અમલમાં લેવાશે તેવું રાજ્યનાં શિક્ષણ વિભાગની યાદીમાં પણ જણાવાયું છે. પ્રથમ શૈક્ષણિક સત્ર તારીખ ૧૨ જૂન, ૨૦૧૮ થી ૪ નવેમ્બર, ૨૦૧૮ એમ પરીક્ષા સમય સિવાય ૯૫ દિવસનું રહેશે. જ્યારે કોલેજની આંતરિક મુલ્યાંકન – પરીક્ષાઓ સતત મુલ્યાંકનની જેમ સાપ્તાહિક ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, સમૂહ ચર્ચા વગેરે તા.૧૫ ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. તારીખ ૧૫ ઓક્ટોબરથી તારીખ ૨૧ ઓક્ટોબર,૨૦૧૮ સુધી ૭ દિવસનું નવરાત્રિ વેકેશન હશે. ઉપરાંત તારીખ ૨૨ થી ૩૧ ઓક્ટોબર,૨૦૧૮ દરમિયાન સેમેસ્ટર ૧, ૩ અને ૫ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા, તારીખ ૨૮ નવેમ્બર,૨૦૧૮થી ૭ ડિસેમ્બર-૨૦૧૮ સુધી સેમેસ્ટર ૨, ૪ અને ૬ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે. જ્યારે તારીખ ૫ નવેમ્બર,૨૦૧૮થી ૧૮ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન ૧૪ દિવસનું દિવાળી વેકેશન રહેશે. રાજયકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવેએ ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા વિદ્યાર્થી અને વાલીઓના હિતમાં શિક્ષણના સંચાલન અને અમલવારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

Previous articleરાજુલામાંથી રૂા.૫૧ કરોડની ખનીજચોરી ઝડપાઈ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે