શ્રાવણમાં ઉપવાસભંગનો કારસોઃ ફરાળી લોટમાં ઘઉંનો લોટ મિક્સ કરી વેચવાનું કૌભાંડ

1300

અમદાવાદ, ગાંધીનગર સહિત પાંચ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે દરોડા પાડી કુલ ૬૫૦૦ કિલો ભેળસેળિયો ફરાળી લોટ જપ્ત કર્યો છે. અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલા આરતી ગૃહ ઉદ્યોગમાંથી સૌથી વધુ ૨૫૦૦ કિલો ભેળસેળિયો લોટ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાના જણાવ્યા અનુસાર, ઉપવાસની સિઝનમાં વધુ નફો કમાવાની લાલચમાં વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા ઘઉંના લોટનું મિશ્રણ કરવામાં આવે છે. દરોડામાં મોરૈયાનો લોટ, રાજગરા, શિંગોડાના લોટના જથ્થાને પણ જપ્ત કરવામાં આવ્યા છે.

વિભાગ દ્વારા ઘટનાસ્થળો પર જ મશિનથી ચેકિંગ કરતા તેમાં ઘઉંનો લોટ હોવાનું સામે આવ્યું હતું. રાજ્યભરમાંથી જપ્ત કરાયેલો કુલ ૬૫૦૦ કિલો ભેળસેળિયો ફરાળી લોટ આશરે ૭ લાખ રૂપિયાની કિંમતનો છે, જેને જપ્ત કરી વધુ તપાસ માટે લેબમાં મૂકવામાં આવ્યો છે. ઘઉંનો લોટ સસ્તો હોવાથી ઉત્પાદકો ફરાળી લોટમાં તે ભેળવે છે, જો આ ઘઉંનો લોટ ખાવાલાયક ન હોય તેવું સાબિત થશે તો ઉત્પાદકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. જો ઘઉંનો સારો લોટ મિશ્રિત થયો હશે તો પાંચ લાખ સુધી દંડ કરવામાં આવશે.

Previous articleધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક.લીના ચેરમેન તરીકે બીજીવાર મહેશભાઈ પટેલ બિનહરીફ
Next articleગાંધીનગર જિલ્લાની મહેસુલી ચિંતન શિબીર યોજાઇ