વેરો ન ભરતા ૨ હજાર નળ જોડાણ કપાવાની સંભાવના

1243

રાજ્યના પાટનગર યોજના વિભાગ તરફથી એક બાજુ ગાંધીનગર શહેરનો પાણીનો વહીવટ મહાનગર પાલિકાને કોઇ પણ હિસાબે ભેરવી દેવાની તમામ તૈયારી કરી લેવાઇ છે.

બીજી બાજુ પાણીવેરાની બાકી વસુલાત માટે પણ સખ્ત કાર્યવાહી શરૂ કરવાના એંધાણ મળ્યા છે. જાણે જતાં જતાં પણ શક્ય તેટલી રોકડી કરી લેવાનો વિભાગનો મુડ જણાય રહ્યો છે અને ૨ હજારથી વધુ બાકીદારોને વેરા વસુલાતની નોટિસ ફટકારવાની તૈયારી વિભાગે પુરી કરી લીધી છે.

આ અંગે નોટિસની સમય મર્યાદા બાદ બાકીદારોના નળ જોડાણ કાપી નાખવા સુધીના પગલા પણ લેવામાં આવશે.

વિભાગની પાણી શાખાના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે શહેરમાં પાણી વ્યવસ્થાપન પાછળ સરકાર દ્વારા પ્રતિ વર્ષ ૨૨ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવે છે. તેની સામે પાણીવેરા પેટેની આવક માંડ ૪ કરોડ જેટલી થતી હોવાથી તેમાં વેરાની પુરેપુરી વસુલાત આવે તે ખુબ જરૂરી છે. પુરી વેરા વસુલાત કરવા માટે રાજ્યના નાણાં અને મહેસુલ વિભાગ દ્વારા પણ સમયાંત્તરે તાકીદ કરવામાં આવે છે. આ વર્ષે પણ દર વખતની જેમ બાકી વેરા વસુલાત માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યું કે, વિભાગે શહેરના તમામ ગ્રાહકોને પાણી વેરાના બિલ મોકલાવ્યા પછી નિયત રકમ ભરવા માટે પણ પુરતો સમય આપ્યો જ હતો. આમ છતાં સંખ્યાબંધ ગ્રાહકોએ બિલના નાણાં ચુકવ્યા નથી. પરિણામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. આ એવા બાકીદારો છે, જેઓ પાસેથી પાણી વેરા પેટે ૧ હજારથી વધુની રકમના બિલ વસુલવાના બાકી છે.

આ ગ્રાહકોને નોટિસ આપવાની સાથે નાણાં ભરપાઇ કરવા માટે યોગ્ય સમય આપવામાં આવશે. મુદત સુધીમાં જેઓ સરકારી લેણું નહીં ચૂકવે તેઓના નળના જોડાણ કાપી નાખવાની સુચના આપવામાં આવી છે. જેથી જે લોકોએ વેરા નથી ભર્યા તેવા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પાટનગરમાં માથા દિછ દરરોજ ૨૫૩ લીટર પાણી આપવામાં આવે છે. હકિકિતે માથાદિઠ પાણીના વપરાશની સર્વ સામાન્ય મર્યાદા ૧૪૦ લીટરની નિયત કરવામાં આવેલી છે. વધુ પાણી વાપરતા હોવા છતાં ઘણા પરિવાર વેરાની મામુલી રકમ ચૂકવવામાં સીનાજોરી કરે છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં ૨૪ કલાક પાણી આપવાની યોજનાનો સમાવેશ કરી દેવાયો છે અને તેનો અમલ પણ થવાનો છે. પરંતુ તેમાં મીટર પ્રથા લાગુ થવાની હોવાથી એધિકારીઓ કહે છે, કે વપરાશ કર્તાઓ આપોઆપ સુધરી જવાના છે.

Previous articleહેપ્પી યુથ કલબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleરાજપુત સમાજની વાસણમાં ત્રિદિવસીય શિબિર યોજાઈ