વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ : ટકાવારી કરતા ટેલેન્ટને આપીએ અગ્રતા

1503

આજના સમયમાં શિક્ષકોનો એક સળગતો પ્રશ્ન છે કે વિદ્યાર્થી વર્ગમાં ધ્યાન આપતા નથી. આમને કશું આવડતું નથી. આવા પ્રશ્નોના જવાબ આપતા કે પ્રાયોગિક રીતે પડતી સમસ્યા વચ્ચે વિદ્યાર્થી ફસાતો જાય છે.
આજ મારી કલમ એ વિચારે શરૂ થાય છે કે ધો.૧૦માં ૯૦ ટકા લાવનાર વિદ્યાર્થી દુનિયાનો સર્વશ્રેષ્ઠ ? બાકીના લોકો જાણે આ પૃથ્વી પર ભારરૂપ છે ? તો ટકાવારીની માનસિકતા છોડી ટેલેન્ટની માનસિક્તા અપનાવીએ તો ચોક્કસ વિદ્યાર્થીને ક્ષેત્રમાં જવું હશે તે ક્ષેત્રમાં પ્રગતિ કરી શકશે.
આજકાલ વાલીઓના મગજમાં એવી ગાંઠ બંધાઈ ગઈ છે કે વિદ્યાર્થીને ટકાવારી ઓછા આવે અથવા બાળક નાપાસ થાય એટલે દુઃખના ડુંગરો તુટી પડ્યા હોય તેવું લાગે છે. મારા પ્રત્યક્ષ અનુભવ કહુ છું. વાલીઓના વિચારો બાળકને તેની માનસિક્તા માત્ર માર્કશીટમાં જ પુરી બાકી રહેલી કલાને બાળપણમાં મારી નાખવામાં આવે છે.
બાળક તેની કલામાં આગળ નિકળશે તો સમાજને દરેક વર્ગના તજજ્ઞો ચોક્કસ મળી રહેશે. જે બાળકને સારા ટકા નથી આવતા તેનામાં ડાન્સનો ગુણ સારો હોય શકે છે તેથી એવું દબાણ ન આપો કે જેનાથી કલા દબાય જાય. મારી તો વિચારસરણી કહે છે કે શિક્ષણમાં કલા સર્વોપરી છે. ગણિતમાં નિષ્ણાંત માણસ જેટલો સમૃધ્ધ નથી તેટલો સમૃધ્ધ ગુજરાતનો સાહિત્યકાર છે.
ઓસમાણ મીર એક એવું વ્યક્તિતત્વ કે જેમને ભણવામાં રૂચી ન હતી પણ કલા એ વિશ્વ માનવ બનાવ્યા છે. કિર્તીદાન ગઢવી કે જેમને આજ વિશ્વ ઓળખે છે. માત્ર કલાના આધાર પર જ એવા તો કેટલાય ઉદાહરણો આપણી સામે ઉપલબ્ધ છે કે જેના લીધે આપણે સૌ પ્રેરણા લઈ શકીએ છીએ.
ભારતરત્ન લત્તા મંગેશકરજી જેઓ પોતાની સ્વરલકાથી આજ વિશ્વની ઉચ્ચ કલા કક્ષા પર બિરાજમાન છે. તેમના નામ પર કેટલાક ગીતોનો વિક્રમ સર્જાયો છે. જો તેમણે પોતાની કલાને જગપ્રસિધ્ધ ન થવા દીધી હોત તો આજે સ્વરના દેવી સરસ્વતીની કૃપા તેમના પર આપણને દ્રશ્યમાન ન થાત. જો તમારા બાળકમાં આવી કલા હોય તો બીજી બધી શિક્ષણ પધ્ધતિ મુકી દયો. માત્ર કલા ક્ષેત્રમાં તેમને આગળ વધે તેવા પ્રયાસ કરવા જોઈએ. આજકાલ એન્જીનિયર, ડોક્ટર બનાવવાની હોટમાં શાળાઓ પણ બાળકોની કલા સાથે અન્યાય કરી જતી હોય છે. મારા મતે સરકાર કંઈક હાલની શિક્ષણ પધ્ધતિમાં પણ આવા વિષયોને કાયમી સ્થાન આપવું જોઈએ. વિશેષ શાળાઓ સંગીત તથા નૃત્ય, રમતગમત માટે જોવા મળે છે પરંતુ ગામડાની શાળામાં આવું ખૂબ ઓછું જોવા મળે છે ત્યાં આ કલા તાપ પણ ચાલવા જોઈએ. વિનમ્ર વિનંતી છે. મારા દસ વર્ષના શૈક્ષણિક અનુભવ તથા પરિણામની ચર્ચા કરીએ તો હાલમાં જેમણે પોતાની કલાત્મક કારીગરીના પગલા માંડ્યા તેવા દરેક વિદ્યાર્થી સમાજના ઉચ્ચકક્ષાએ જોવા મળે છે. ઘણીવાર ઉચ્ચ ટકાવારીવાળો વિદ્યાર્થી નોકરી માટે ભટકે જ્યારે કલાનો મર્મરી તેના ક્ષેત્રમાં ખૂબ જ સારી કક્ષાએ જોવા મળે છે.
મારી અંદર રહેલી કલાને માત્ર રસ્તો જોઈએ. આ કામ શાળામાં રહેલા શિક્ષકોએ કરવાનું છે. ઘણીવાર શિક્ષણના ખ્યાલમાં આવેલી બાળકની કલા તેમને અમિતાભ બચ્ચન, સચીન તેંદુલકર કે તારક મહેતાના જેઠાલાલ પણ બનાવી શકે છે. જો તારક મહેતાના બધા પાત્રોએ માત્ર શાળાની પરીક્ષા કે કલાની તરછોડી હોત તો આજે આપણા ચહેરાની મુસ્કાનનું કારણ તથા શ્રેષ્ઠ કલાકાર તેઓ બનવામાં સફળ થાય નહીં તેથી નાટક, નૃત્ય કે રમતગમતમાં જેમની જેવી રૂચિ તેમાં આગળ વધારવાથી બાળક હંમેશા પ્રગતિના પંથે ચોક્કસ જતો હોય છે.
કલાની ઓળખાણ શાળાના પ્રાર્થના કાર્યક્રમથી થાય છે તેમજ શાળાએ બાળકોને તમામ પ્રવૃત્તિ સાથે જોડી વિકસે તેવું કરવાથી બાળક ચોક્કસ પ્રસિધ્ધ અને સમૃધ્ધ માણસ બની શકશે.
આમ વાલીઓ, શાળા, શિક્ષકો તથા ઘરનું કલાત્મક વાતાવરણ બાળકોને એક એક્સપર્ટ ચોક્કસ બનાવી શકે છે. આમ ટકાવારી કરતા ટેલેન્ટને અગ્રતા આપવી જોઈએ.

– નિકુંજ પંડિત

Previous articleજીએસટી મહારાષ્ટ્ર માટે બોનસ સમાન : એપ્રિલ-જુલાઇમાં ૨૮ ટકા વધુ મહેસૂલ મળી
Next articleમુંબઇમાં બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી : ૪ ભડથુ