વાજપેયીના સહારે ચૂંટણી જીતવા માટેની પણ તૈયારી

891

ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના અવસાનથી એકબાજુ દેશભરમાં શોકની લહેર જોવા મળી રહી છે. વાજપેયીના અવસાનના સાત દિવસ બાદ પણ સોશિયલ મિડિયા અને ચારેબાજુ વાજપેયીની ચર્ચા જોવા મળી રહી છે. અટલ લહેર પર સવાર થઇને ભાજપે પણ આ સાહનુભુતિની લહેરને ઓછી થવા દેવા માટે તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તર પર અટલ બિહારી વાજેપીય ની લોકપ્રિયતાનો લાભ લેવા માટે પ્રયાસ કરી રહી છે. આજ કારણસર ભાજપે અસ્થિ કલશ વિસર્જન યાત્રાથી લઇને ગામ ગામ સુધી શ્રદ્ધાંજલિ કાર્યકમો આયોજિત કર્યા છે. જે મહિનાઓ સુધી ચાલનાર છે. સરકાર અટલના નામ પર માર્ગો, સ્મારક અને તબીબી કેન્દ્ર ખોલવા માટે તૈયાર છે. જેના શિલાન્યાસ અને ઉદ્ધઘાટન થવામાં મહિનાઓનો સમય લાગી જશે. રાજકીય નિષ્ણાંતો કહે છે કે ભાજપ હવે વર્ષ ૨૦૧૯ સુધી અટલ  બિહારી વાજપેયી લહેરને ખતમ થવા દેવા માંગતી નથી. ૨૩મી ઓગષ્ટના દિવસે આજે લખનૌમાં સર્વદળીય શ્રદ્ધાંજલિ સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના માટે માયાવતી અને અખિલેશ યાદવ તેમજ રાજ બબ્બરને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી વાજપેયીના અસ્થિ કળશને દેશની ૧૦૦ નદીઓમાં વિસર્જિત કરનાર છે. સાથે સાથે ઉત્તરપ્રદેશના દરેક જિલ્લાની નદીઓમાં અસ્થિનુ વિસર્જન કરવામાં આવનાર છે. જેમાં યુપીની ગંગામાં ૨૫ વખત, યમુનામાં ૧૮ વખત, ઘાઘરમાં ૧૩ વખત, ગોમતીમાં ૧૦ વખત રામગંગામાં સાત વખત તાપ્તીમાં છ વખત, હિંડનમાં છ વખત, ગંડકમાં ચાર વખત અસ્થિનુ વિસર્જન કરવામાં આવનાર છે. કેટલીક નદીઓ એવી છે જે બે અથવા તો ત્રણ જિલ્લામાંથી થઇને વહે છે. તેમાં પણ તેમની અસ્થિનુ વિસર્જન કરવામાં આવનાર છે. આ ગાળા દરમિયાન જુદા જુદા સ્થળો પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ગ્રામ સ્તરે વાજપેયીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવનાર છે. ૨૪મી ઓગષ્ટના દિવસે એટલે કે આવતીકાલે ભાજપ રાજ્યના ૧૬ જુદા જુદા સ્થળો પર અસ્થિ કળશ યાત્રા કાઢનાર છે. જ્યાં અસ્થિઓને પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવામાં આવનાર ચટે. આ ગાળા દરમિયાન કળશ યાત્રા વેળા પ્રદેશના મંત્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. નહેરુના અવસાન બાદ કોંગ્રેસી કાર્યકરોએ દેશભરના ખેડુતોના ખેતરોમાં તેમની અસ્થિઓ વિખેરી હતી. નહેરુની અસ્થિના વિસર્જન માટે ગોલવરકરે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે વૈજ્ઞાનિક સમાજવાદી નહેરુના અવસાન પર આટલા મોટા પાયે તમાશાની શુ જરૂર છે. તેઓ વસિયતમા લખીને ગયા હતા કે તેમના અવસાન બાદ કોઇ શ્રાદ્ધ કર્મ કરવામાં ન આવે. તેમના નામ પર કોઇ સ્મારક પણ બનાવવામાં ન આવે. નહેરુ મોડલની ટિકા કરનાર લોકો હવે તેમના જ મોડલ પર ચાલી રહ્યા છે.

Previous articleકેરળના પૂરથી કોચ્ચિ એરપોર્ટને રુપિયા ૨૫૦ કરોડનું નુકસાન થયું
Next articleતાપ્સી મનમર્જિયા ફિલ્મને લઇ ભારે આશાવાદી બની