પુરના કારણે હજુ સુધી ૯૯૩ લોકોના મોત થયા

1535

આ વર્ષે મોનસુનની સિઝનમાં ભારે વરસાદ અને પુરના કારણે દેશમાં ૯૯૩ લોકોના મોત થઇ ચુક્યા છે અને મોતનો આંકડો હજુ વધી રહ્યો છે. કેરળમાં સદીના સૌથી વિનાશકારી પુર ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ પુર અને ભારે વરસાદના કારણે હાલત કફોડી બની છે. એકલા કેરળમાં પુરના કારણે મોતનો આંકડો ૪૦૦ની નજીક પહોંચી ગયો છે. જ્યારે અન્ય ચાર રાજ્યોમાં પુર અને ભારે વરસાદના કારણે ૬૦૦ લોકોના મોત થયા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા નવા આંકડા જારી કરવામાં આવ્યા છે જેમાં આ મુજબની વાત કરવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ કુલ મોતનો આંકડો ૯૯૩ દર્શાવવામાં આવ્યો ચે. ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન દ્વારા કહેવામાં આવ્યુ છે કે પુરના કારણે ૭૦ લાખથી વધારે લોકો અસર પામ્યા છે. ૧૭ લાખ લોકો હજુ પણ રાહત કેમ્પમાં રોકાયેલા છે. કેરળ ઉપરાંત જે રાજ્યોમાં ભારે નુકસાન થયુ છે તેમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને આસામનો સમાવેશ થાય છે. કેરળમાં મોતનો આંકડો સૌથી વધારે નોંધાયો છે. ઉત્તરપ્રદેશમાં પુરના કારણે ૨૦૪ લોકોના મોત થયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ૧૯૫, કર્ણાટકમાં ૧૬૧અને આસામમાં ૪૬ લોકોના મોત થઇ ચુક્યા છે. કેરળમાં સૌથી વધારે ૫૬ લાખ લોકોને અસર થઇ છે. અહીં ૧૪.૫૨ લાખ લોકો હજુ રાહત કેમ્પમાં છે. જ્યારે આસામમાં ૧૧.૪૬ લાખ લોકોને અસર થઇ છે. રાહત કેમ્પમાં રહેલા લોકોની સંખ્યા ૨.૪૫ લાખ જેટલી આંકવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યુ છે કે પુરના કારણે દર વર્ષે ૧૬૦૦ લોકોના મોત થઇ રહ્યા છે. પાક, આવાસ, પબ્લિક સંપત્તિને નુકસાનનો આંકડો વાર્ષિક રીતે ૪૭૪૫ કરોડથી વધારેનો રહેલો છે. દેશમાં ભૌગોલિક વિસ્તાર પૈકી ૧૨ ટકા વિસ્તાર પુરગ્રસ્ત હોવાની વિગત સપાટી પર આવી છે. ૨૨મી ઓગષ્ટ સુધીના આંકડા તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યા છે. જે પૈકી ચિત્ર સ્પષ્ટ થાય છે. વર્ષ ૨૦૧૭ની વાત કરવામાં આવે તો પુરના કારણે ૧૨૦૦ લોકોના મોત થયા હતા. બિહારમાં એ વર્ષમાં સૌથી વધારે ૫૧૪ લોકોના મોત થયા હતા. એ વર્ષે બંગાળમાં પણ મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૭માં ૨૨.૮૧ લાખ લોકોને રાહત કેમ્પમાં રહેવાની ફરજ પડી હતી. વર્ષ ૨૦૧૬માં પણ આવી જ સ્થિતી રહી હતી.દેશમાં મોનસૂનની વર્તમાન સિઝનમાં થયેલા મોત અને નુકસાનનો આંકડો આ પહેલા ૧૧મી ઓગષ્ટના દિવસે જારી કરવામાં આવ્યો હતો. જેમાં મોતનો આંકડો ૭૧૮ દર્શાવવામાં આવ્યો હતો. હવે ગૃહ મંત્રાલય દ્વારા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે મોનસૂનની સિઝનમાં સાત રાજ્યોમાં પુર અને વરસાદ સંબંધિત બનાવોમાં ભારે નુકસાન થયું છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે મહારાષ્ટ્રમાં ૨૬ જિલ્લાઓમાં વરસાદ અને પુરના કારણે અસર થઈ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ૨૨ અને આસામમાં ૧૪ જિલ્લાઓને અસર થઈ છે. કેરળમાં ૧૪, ઉત્તરપ્રદેશમાં ૧૨, ગુજરાતમાં ૧૦ અને નાગાલેન્ડમાં ૧૧ જિલ્લાઓને અસર થઈ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આસામમાં લાખો લોકોને પુર અને ભારે વરસાદની અસર થઈ છે. આંકડામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આસામમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૫ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગી હતી. એનડીઆરએફની એક ટીમમાં ૪૫થી વધુ કર્મચારીઓ હોય છે. હાલમાં કેરળમાં અભૂતપૂર્વ વરસાદના પરિણામ સ્વરૂપે લોકોની હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા નિયમિત સમયગાળામાં પુરના કારણે થયેલા નુકસાનના આંકડા જારી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૬માં પુરની સ્થિતી અંગે જે આંકડા રહેલા છે તે દર્શાવે છે કે ૯૩૬ લોકોના મોત થયા હતાય. બિહારમાં ૨૫૪ લોકોના મોત થયા હતા અને મધ્યપ્રદેશમાં ૧૮૪ તેમજ મહારાષ્ટ્રમાં ૧૪૫ લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડમાં ૧૦૨ લોકોના મોત થયા હતા. કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે તેમના બજેટમાં ફરજિયાત જોગવાઇ કરવા માટે રાજ્યોને કોઇ પણ પ્રકારનો આદેશ આપ્યો નથી. દેશમાં ૬૪૦ જિલ્લામાં અભ્યાસની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી ચુકી છે. મોટા ભાગના રાજ્યો પરિસ્થિતીને લઇને સંપૂર્ણ અને સર્વગ્રાહી મુલ્યાંકનની કામગીરી હાથ ધરતા નથી. આ જ કારણસર દર વર્ષે પુરના કારણે ભારે નુકસાન થઇ જાય છે. આ વર્ષે મોનસુમમાં જુદા જુદા રાજ્યોમાં ભારે અસર થઇ છે. લાખો લોકોને અસર થઇ છે. અસરગ્રસ્ત લોકોની સંખ્યાની વાત કરવામાં આવે તો કેરળમાં ૫૪.૧ લાખ, ઉત્તરપ્રદેશમાં ૨.૪ લાખ, પશ્ચિમ બંગાળમાં ૨.૩ લાખ, કર્ણાટકમાં ૩.૫ લાખ, આસામમાં ૧૧.૫ લાખ લોકોને અસર થઇ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવિઝન દ્વારા આ અંગેના આંકડા વિસ્તારપૂર્વક જારી કરવામાં આવ્યા છે.

Previous articleકેરળ જળપ્રલય : અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે રાહુલ જશે
Next articleરાજ કપુરના આરકે સ્ટુડિયો વેચવા માટેની તૈયારી કરાઇ