સોમનાથ દાદાને શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

750

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના કરોડો લોકોના શ્રદ્ધા-આસ્થાના કેન્દ્ર અને દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ દાદાની શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

દર વર્ષે શ્રાવણમાસમાં નિયમિતપણે સોમનાથ દાદાના દર્શન-પૂજન માટે આવતા મુખ્યમંત્રીએ સોમનાથ દાદાને શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી પાલખી યાત્રાનો પણ લાભ લીધો હતો. સોમનાથ દાદાના પૂજન-અર્ચન અને ધ્વજારોહણ બાદ પ્રચાર માધ્યમો સાથે વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દર વર્ષે નિત્યક્રમ મુજબ સોમનાથ દાદાના દર્શન પૂજન માટે તેઓ આવે છે. આજે પરિવાર સાથે દર્શન-પૂજન કર્યા છે. સાથે-સાથે ગુજરાતના સાડા છ કરોડની જનતાની સુખ, સમૃદ્ધિ, સલામતી અને કલ્યાણ માટે ભગવાન સોમનાથને પ્રાર્થના કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.  મુખ્યમંત્રીની સોમનાથ મુલાકાત પ્રસંગે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, પરિવારના સભ્યો સાથે પ્રવાસન નિગમના ડિરેક્ટર ઝવેરીભાઇ ઠકરાર, રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, નિતીન ભારદ્વાજ, ગુણવંતભાઇ ડેલાવાળા,  ઉદય કાનગડ,  કિશોર કુહાડા, જિલ્લા કલેક્ટર  અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી  અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા  રાહુલ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતાં.  સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી ધનંજય દવે તથા બ્રાહ્મણગણે મુખ્યમંત્રીને પૂજા-અર્ચના કરાવી હતી. સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મુખ્યમંત્રીને શાલ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું.

Previous articleસોમનાથમાં બ્રહ્મસમાજ દ્વારા રૂપાણીનું સ્વાગત
Next articleસ્વ. પંડિત બ્રિજ ભૂષણ કાબરાજીને સ્વરાંજલિ : ઉદગમ મ્યૂઝિક ફેસ્ટીવલ યોજાયો