હાર્દિક પટેલે શરદ યાદવના હાથથી પાણી પીધુ

1473

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૫મો દિવસ છે. આચાર્ય પ્રમોદ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ આમરણાંત ઉપવાસી હાર્દિક પટેલને મળવા માટે આજે એસજીવીપી હોસ્પિટલ પહોંચ્યા હતા.

હાર્દિકને મળીને આચાર્ય પ્રમોદ તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. તો, સ્વામી અગ્નિવેશે તેની લડાઈને જુસ્સાથી લડવા માટે પ્રસંશા કરી હતી. બીજીબાજુ, ડોકટરોની ફરજિયાત સલાહ અને લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવની ભારે સમજાવટ બાદ આજે આખરે હાર્દિક પટેલે જળ ગ્રહણ કર્યું હતું. શરદ યાદવે પોતાના હાથે હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. હાર્દિકે જળ ગ્રહણ કરતાં સમગ્ર પાટીદાર સમાજમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

દરમ્યાન પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ડોકટરોએ હાર્દિકની પંદર-પંદર દિવસના ઉપવાસ અને છેલ્લા ૪૮ કલાકથી જળ ત્યાગને લીધે કોઇપણ સંજોગોમાં જળ ગ્રહણ કરવું પડે, નહી તો બીજી કોઇ મોટી તકલીફ ઉભી થશે તેવી તાકીદ કર્યા બાદ અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે હાર્દિકને સમજાવતા આખરે તેમના હાથે તેણે પાણી પીધું હતું. આજે હાર્દિકે પાણી પીવાની શરૂઆત કરી છે.

ડોક્ટરની સલાહ પ્રમાણે જમવાની શરૂઆત કરે તેવી પણ શકયતા છે.  દરમ્યાન હાર્દિક પટેલના ઉપવાસનો આજે પંદરમો દિવસ હતો ત્યારે  આજે સવારથી રાષ્ટ્રીય નેતાઓ લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવ, ત્યારબાદ ડીએમકે પાર્ટીના નેતા એ રાજા અને ઈલિયાસ આઝમીએ હાર્દિકની મુલાકાત લઈને તેને સમર્થન આપ્યું હતું. બપોર બાદ એસજીવીપી હોસ્પિટલમાં પહોંચેલા ધર્મગુરૂ આચાર્ચ પ્રમોદ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશે હાર્દિકને મળીને તેણે ચલાવેલી લડત બદલ તેની સરાહના કરી હતી. આ પહેલા મુલાકાતે આવેલા યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું.

અશક્ત હાર્દિક વરિષ્ઠ નેતાને મળીને ખુશ થયો હતો. બંને વચ્ચે વાતચીત થઈ હતી. યાદવે હાર્દિકને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી અને તેના આંદોલનને સમર્થન આપ્યું હતું. હવે તે ઉપવાસી છાવણીમાંથી તેના ઉપવાસ આગળ વધારી રહ્યો નથી પરંતુ હોસ્પિટલના બિછાનેથી અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગો પર અડગ રહ્યો છે. ત્યારે તેને મળવા માટે રાષ્ટ્રીય નેતાઓ અને ધર્મગુરૂ હોસ્પિટલમાં પહોંચી તેની ખબરઅંતર પૂછી રહ્યા છે.

ડોક્ટરની સલાહ બાદ હાર્દિકે પાણી પીધું, અનશન ચાલુ જ છેઃ પાસ

પાસ તરફથી મનોજ પનારાએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી કે ડોક્ટરની સલાહને ધ્યાનમાં રાખીને હાર્દિકે પાણી પીધુ છે, હજુ તેના અનશન ચાલુ જ છે.

હાર્દિકે પાણી પીવા અંગે પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે, “ગાંધીના માર્ગે આંદોલન કરવા છતાં પણ સરકાર વાર્તાલાપ માટે તૈયાર નથી.  ગુજરાતની જનતાની ઈચ્છા છે કે હાર્દિક પટેલ જીવતા રહે. હવે અમને લાગી રહ્યું છે કે જીવશું તો લડીશું અને લડીશું તો જીતીશું. તમામ લોકોની ઈચ્છા પૂર્ણ કરવા માટે હાર્દિકે પાણી પીધું છે. હજી સુધી હાર્દિકે અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી. હાર્દિકના અનશન હજી ચાલુ જ છે.

હાર્દિક પટેલ ઈચ્છે છે કે ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી રહે. માટે તમામ લોકો શાંતિ જાળવી રાખે. શરદ યાદવ હાર્દિક પટેલને મળીને ગયા છે, તેમને હાર્દિકને પાણી પીવડાવ્યું છે.

૧૧ઃ૩૦ વાગ્યા સુધી હાર્દિક પટેલ આઇસીયુમાં હતા. ડોક્ટરની સ્પષ્ટ સૂચના હતી કે પાણી પીવું જરૂરી છે, નહીં તો કિડનીમાં ઇન્ફેક્શન થઇ શકે છે.

ખાનગી હોસ્પિટલમાં પણ હાર્દિકના તમામ રિપોર્ટ આવ્યા નોર્મલ

હાર્દિક પટેલને શુક્રવારે સાંજે સિવિલ અને એ પછી ખાનગી હોસ્પિટલ એસજીવીપી ખાતે ખસેડાયો હતો.જોકે હાર્દિકે અન્ન્‌ જળનો ત્યાગ યથાવત રાખ્યો છે. હાલમાં એસજીવીપી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન પણ હાર્દિકે પોતાનુ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. જોકે મહત્વની વાત એ છે કે ખાનગી હોસ્પિટલના ડોક્ટરે કરેલી ચકાસણીમાં પણ હાર્દિકના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિકને ગઈકાલે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્યાંના ડોક્ટરોએ ચકાસણી કરીને હાર્દિકના તમામ રિપોર્ટ નોર્મલ હોવાનુ કહ્યુ હતુ પણ પાસ દ્વારા હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનુ નક્કી કરાયુ હતુ કારણકે પાસને સરકારી હોસ્પિટલ કે તેના ડોક્ટરો પર ભરોસો નહોતો.

Previous articleનરેશ પટેલની રાજ્ય સરકાર સાથેની ચર્ચા ટળતાં અટકળ
Next articleદેશના અર્થતંત્રનો સરકારે નાશ કર્યો : મનમોહનસિંહ