લાંબા સમયથી કાનુની વિવાદમાં સપડાયેલ રીંગરોડ પર આવેલ પાક્કા દબાણ મામલે કોર્ટે મહાપાલિકા તરફે ચુકાદો આપતા તંત્રએ ૧૦ પાક્કા મકાનો સહિતના દબાણો પર જેસીબી ફેરવી રોડ નિર્માણનું કાર્ય હાથ ધર્યુ હતું.
ભાવનગર શહેરના મુખ્ય તથા આંતરિક માર્ગોને જોડતા રીંગરોડનું નિર્માણ કાર્ય છેલ્લા કેટલાક સમયથી રોડ વચ્ચે બનાવવામાં આવેલ ૧૦ જેટલા પાક્કા મકાનોના કારણે ખોરંભે ચડ્યું હતું તથા દબાણકર્તા આસામીઓ દ્વારા આ મુદ્દે કોર્ટ કેસ પણ કર્યો હતો પરંતુ આ કેસ ચાલતા કોર્ટે ભાવનગર મહાપાલિકા તરફે ચુકાદો આપતા રીંગરોડ નિર્માણનો માર્ગ મોકળો થયો હતો. આજે સવારે તંત્રનો વિશાળ કાફલો સાધનોથી સજ્જ બની દબાણ સ્થળે પહોંચ્યો હતો અને બપોર સુધીમાં ૧૦ મકાનો તથા અન્ય દબાણો ધ્વંસ કરી લોકલક્ષી કાર્યનો ખરો પરિચય આપ્યો હતો. દબાણો દુર થવા સાથે તુરંત રોડ નિર્માણનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું.