દામનગરમાં તંત્રના પાપે મચ્છરોનો હાહાકાર બીજી બાજુ આખલાઓના રોડ પર ધામા

768

હાલ ચોમાસાની ઋતુ છે. વરસાદ ઓછો થયો છે. ભાદરવાના તડકા તપી રહ્યાં છે. રાતના સમયે ઠંડીનો અનુભવ થાય છે. ક્યારેેક ક્યારેક હળવા છાંટા પડતા હોય, ત્રણ ઋતુના વાતાવરણમાં છેલ્લા થોડાક દિવસોથી મચ્છરો સમગ્ર દામનગરના હુમલા કરી રહ્યાં છે.

દિવસ-રાત પંખાઓ શરૂ રાખવા છતા મચ્છરોનો વધારો થઈ રહ્યો છે. કહેવાતા પ્રજાના સેવકો માત્ર ખુરશી માટે છે. કોઈ કામગીરી આરોગ્યલક્ષી થઈ નથી. થોડા દિવસો પહેલા ડીડીટીનો છંટકાવ કર્યો હતો તે ખરેખર ડી.ડી.ટી. હતી. દામનગરની અંદાજે રર હજારની વસ્તીમાં દરેક વોર્ડમાં મચ્છરો-મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ચર્ચા થાય છે પણ પ્રજાનું આરોગ્ય ભગવાન ભરોસે છે. અધુરામાં પુરૂ આખલાઓ અને રેઢીયાળ પશુઓથી લોકો ત્રસ્ત છે. ઓછા સફાઈ કામદારોથી સફાઈનું કામ લેવાય છે. જે જગ્યાએ કચરા પેટીઓ છે ત્યાં તો દુર્ગંધ મારતું વાતાવરણ છે. રસ્તાની સાઈડોમાં કે અડચણરૂપ થતી કચરા પેટીઓ ત્રાસદાયક એટલા માટે છે કે જે લોકોએ કચરો અંદર નાખવો જોઈએ તે બહાર નાખતા હોય છે. કચરા પેટીમાં ગાય માતા કે આખલાઓ મોઢુ નાખીને જે કાંઈ મળે તે ખાતા હોય વાગોળતા વાગોળતા રસ્તા પર કાઢતા હોય છે.

ચીફ ઓફિસરને પ્રજાના આરોગ્યની પડી નથી. પદાધિકારીઓ નીરસ છે. રસ્તાઓ તુટેલા છે. પેવર બ્લોકનું લેવલ નથી. પ્રજા ત્રાહિમામ છે. છેલ્લા થોડા દિવસથી વધી ગયેલા મચ્છરોને કારણે રોગચાળો ફાટી નિકળે તે પહેલા સત્તાધીશો પુરતી કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

Previous articleસાવરકુંડલા બારોટ સમાજના બિલ્ડીંગના નિર્માણમાં દાતાઓ મન મુકીને વરસ્યા
Next articleજુના બંદર રોડ પર મોડીરાત્રે ટ્રક વિજથાંભલા સાથે અથડાયો