રાજયભરમાં ગણેશ ઉત્સવનો હર્ષોલ્લાસથી આજથી આરંભ

1072

વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના મહોત્સવનો આવતીકાલે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા શહેર સહિત રાજયભરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે.

આજે મોડી રાત સુધી ગણપતિ દાદાની અવનવી, આકર્ષક અને મનોહર મૂર્તિઓ ખરીદવા માટે ગણેશભકતોએ પડાપડી કરી હતી. આવતીકાલે સવારે શુભમૂર્હુતમાં વિધિવત્‌ રીતે શહેર સહિત રાજયભરમાં દાદાના ઉભા કરાયેલા વિશાળ મંડપ, પંડાલ, શામિયાણામાં જાતજાતની અને ભાતભાતની આકર્ષક મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે. દસ દિવસ ચાલતા ગણેશ મહોત્સવ બાદ અનંત ચતુર્દશીએ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. શંકર-પાર્વતીના પુત્ર ગણેશ ભગવાન એ સદ્‌બુધ્ધી, ધન-વૈભવ અને સૌભાગ્યના અધિપતિ દેવતા કહેવાય છે અને સર્વ દેવોમાં તેમની સૌથી પહેલી પૂજા થાય છે ત્યારે ગણેશ મહોત્સવને લઇ શહેર સહિત રાજયભરના ગણેશભકતોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાદ્રપદની શુકલપક્ષની ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે.

ગણેશ મહોત્સવને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા યુવક મંડળો દ્વારા સેંકડોની સંખ્યામાં દુંદાળા દેવ ગણપતિજીની વાજતે-ગાજતે, ફટકડાની આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે શાહી સવારી કાઢી પોતપોતાના વિસ્તારોના પંડાલ-શામિયાણામાં વિવિધ સ્વરૂપોની આકર્ષક મૂર્તિઓનું વિધિવત્‌ રીતે સ્થાપન કરવામાં આવશે.

Previous articleવિશ્વ પ્રસિદ્ધ તરણોતરના મેળાની થયેલી શરૂઆત
Next articleનવી જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે જમીનની ફાળવણી