વિજય માલ્યાના મામલે જેટલીના રાજીનામાની રાહુલ દ્વારા માંગણી

1384

શરાબ કારોબારી વિજય માલ્યાના દેશ છોડતા પહેલા નાણામંત્રી અરુણ જેટલીને મળવાના દાવા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. આજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતે મિડિયાની સામે આવીને દાવો કર્યો હતો કે, સંસદમાં અરુણ જેટલી અને માલ્યાની વચ્ચે વાતચીત થઇ હતી.

આ વાતચીતને પીએલ પુણિયાએ નિહાળી હતી. રાહુલ ગાંધીએ અરુણ જેટલી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, જેટલી બ્લોગ લખે છે પરંતુ ક્યારે પણ વિજય માલ્યાને મળવાના સંદર્ભમાં વાત કરી નથી. દેશના લોકોને આ અંગે જાણ કરી નથી. રાહુલ ગાંધીએ નાણામંત્રી અરુણ જેટલીના રાજીનામાની માંગ કરી હતીઅને તપાસની પણ માંગ કરી હતી. વિજય માલ્યા કહી ચુક્યા છે કે તેઓ ભારત છોડતા પહેલા સંસદમાં અરુણ જેટલીને મળ્યા હતા. અરુણ જેટલી તમામ મિટિંગો અંગે બ્લોગમાં લખે છે પરંતુ આ બેઠકના સંદર્ભમાં કોઇપણ બ્લોગ લખવામાં આવ્યું નથી.

વિજય માલ્યાના સંદર્ભમાં થોડાક શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાટનગર દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, આ ક્લિયરકટ મિટિંગ હતી. તેમની વચ્ચે ચોક્કસપણે કોઇ ડિલ થઇ છે.

જેટલીએ રાજીનામુ આપવું જોઇએ અને આ મામલામાં તપાસ થવી જોઇએ. કોંગ્રેસ વડાએ એવો દાવો પણ કર્યો હતો કે, માલ્યાને લંડન ફરાર થઇ જવાની તક આપવામાં આવી હતી. અરેસ્ટ નોટિસને ઇન્ફોર્મ નોટિસમાં ફેરવી દેવામાં આવી હતી. જેટલી ખોટું બોલી રહ્યા છે.

સરકાર પણ ખોટુ બોલી રહી છે. નાણામંત્રીને માલ્યા મળ્યા હતા. ફરાર વિજય માલ્યાએ તેમને કહ્યું હતું કે, તેઓ લંડન જઇ રહ્યા છે. નાણામંત્રીએ આ સંદર્ભમાં સીબીઆઈ, ઇડી અને પોલીસને જાણ કરી ન હતી. આની પાછળના કારણ ગળે ઉતરી રહ્યા નથી. આ ધરપકડ નોટિસને બદલીને ઇન્ફોર્મ નોટિસ કરી દેવામાં આવી હતી

. આ કામ એકમાત્ર એજ વ્યક્તિ કરી શકે છે જે સીબીઆઈ ઉપર અંકુશ ધરાવે છે. જો માલ્યા કોરીડોરમાં જ વાત કરી રહ્યા હતા ત્યારે શા માટે સીબીઆઈ, ઇડી અને અન્યોને માલ્યાને પકડી પાડવા માટે કહેવામાં આવ્યું ન હતું. આ બાબત દર્શાવે છે કે, ચોક્કસપણે કોઇ ડિલ થયેલી છે. નાણામંત્રીએ તેમની વચ્ચે કઇ વાતચીત થઇ તે અંગે પણ વાતચીત કરવી જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએલ પુણિયા એક પુરાવા તરીકે છે. આ વ્યક્તિએ સંસદમાં માલ્યા અને જેટલીની મુલાકાતને નિહાળી હતી. આ કોઇ નાની વાતચીત ન હતી. ત્યારબાદ પુણિયાએ દાવો કર્યો હતો કે, બજેટ સત્ર બાદ પહેલી માર્ચ ૨૦૧૬ના દિવસે તેઓ સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠા હતા.

અરુણ જેટલી અને માલ્યા વાતચીત કરી રહ્યા હતા. પુણિયાએ એવો દાવો પણ કર્યો હતો કે, પાંચથી સાત મિનિટ સુધી વાતચીત ચાલી હતી. કોંગ્રેસ નેતા તરફથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે, માલ્યા એ સત્રમાં પ્રથમ વખત એજ દિવસે જેટલીને મળવા પહોંચ્યા હતા. જેટલી સાથે સલાહ લઇને માલ્યા ફરાર થયા હોવાનો દાવો પુણિયાએ કર્યો હતો. રાહુલ ગાંધીએ પ્રશ્ન કરતા કહ્યું છે કે, નાણામંત્રી અપરાધી સાથે વાત કરે છે પરંતુ સીબીઆઈ, ઇડી અને પોલીસને વાત કરી ન હતી.

Previous articleકાશ્મીર : બે અથડામણમાં ચાર આતંકી ઠાર, ૯ જવાન ઘાયલ
Next articleવિજય માલ્યા સાથે ગાંધી પરિવારના સંબંધ મુદ્દે રાહુલ જવાબ આપે : પાત્રા