ત્રિપલ તલાક : વટહુકમને અંતે રાષ્ટ્રપતિ કોવિન્દે મંજુરી આપી

715

ત્રિપલ તલાક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની મંજુરી મળી ગઇ હતી. રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની પાસે હવે આ બિલને પસાર કરવા માટે છ મહિનાનો સમય રહેશે. આ વટહુકમ હવે છ મહિના સુધી  અમલી રહેનાર છે. ઉલ્લેખનીય છે કે બંધારણમાં વટહુકમનો રસ્તો દર્શાવવામાં આવ્યો છે. કોઇ બિલને અમલી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. બંધારણની કલમ ૧૨૩ હેઠળ જ્યારે સંસદ સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારની રજૂઆત પર રાષ્ટ્રપતિ કોઇ વટહુકમ જારી કરી શકે છે. આગામી સત્રની સમાપ્તિના બાદ છ સપ્તાહ સુધી તે જારી રહી શકે છે. જે બિલ પર વટહુકમ લાવવામાં આવે છે તે બિલને આગામી સત્રમાં પસાર કરવાની જરૂર હોય છે. આવુ ન થવાની સ્થિતીમાં રાષ્ટ્રપતિ આને બીજી વખત પણ જારી કરી શકે છે. કેન્દ્રની મોદી સરકારે ગઇકાલે બુધવારના દિવસે આખરે ત્રિપલ તલાક સાથે સંબંધિત વટહુકમને લીલીઝંડી આપી દીધી હતી. સરકારને હવે શિયાળુ સત્રમાં જ આ બિલને પસાર કરવાનુ રહેશે.

લોકસભામાં આ બિલ પસાર થયા બાદ આ બિલ રાજ્યસભામાં અટવાઇ ગયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ૧૦મી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે રાજ્યસભામાં સર્વસંમતિ ન સધાવવાના લીધે મોનસુન સત્રના છેલ્લા દિવસે ત્રિપલ તલાક બિલ ટળી ગયું હતું. રાજ્યસભામાં સહમતિ નહીં રહેતા નિષ્ફળતા હાથ લાગી હતી.  આ બિલ મડાગાંઠના કારણે રજૂ થઇ શક્યુ ંન હતું. આ પહેલા ૨૨મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ખુબ જ સંવેદનશીલ અને જટિલ ત્રિપલ તલાકના મુદ્દા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય પીઠે ૩-૨ની બહુમતિ સાથે આ ચુકાદો આપ્યો હતો. ૩-૨ની બહુમતિથી આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ૧૧મી મે ૨૦૧૭ના દિવસે આ મામલામાં બંધારણીય બેંચમાં સુનાવણી શરૂ થઇ હતી. સુનાવણી સતત છ દિવસ સુધી ચાલી હતી. આ ગાળા દરમિયાન બંને પક્ષો તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી.

Previous articleઈમરાન ખાને શાંતિ વાર્તા માટે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો
Next articleનાની બચતની યોજનાઓ ઉપર વ્યાજદરમાં ૦.૪%નો વધારો