રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે ભાજપ પ્રમુખ અમિત શાહ ચૂંટણી મંથનમાં લાગી ગયા છે. શાહ પાર્ટીને જીત અપાવવા માટે માઇક્રો મેનેજમેન્ટમાં લાગી ગયા છે. ટિકિટ ફાળવણી પહેલા તેઓએ સમગ્ર પ્રદેશથી ગ્રાઉન્ડ રિપોર્ટ એકત્રિત કરવા માટે ચન્દ્રશેખર, વી સતીશ, અવિનાશ રાય ખન્ના,અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને સતીશ પુણિયા જેવા છ નેતાઓની પસંદગી કરી લીધી છે.
પાર્ટીએ સંઘની જેમ સમગ્ર રાજ્યને કવર કરવા માટે રાજ્સ્થાનને ત્રણ ભાગોમાં વિભાજિત કરીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે. જયપુર, જોધપુર અને ચિત્તોડગઢ એમ ત્રણ હિસ્સામાં રાજસ્થાનને વહેંચીને પ્રચાર કરવા માટેની રણનિતી તૈયાર કરવામાં આવી છે. આ ત્રણેય ટીમોમાં બે બે નેતાઓ રહેશે. અમિત શાહે ૧૦મીથી ૧૮મી ઓક્ટોબર સુધી ગ્રાસ રૂટ પર કામ કરવા માટે ત્રણ ટીમો બનાવી દીધી છે. આ ત્રણેય ટીમોમાં બે બે નેતા રહેશે. આમાં એક રાજ્ય અને કેન્દ્ર રાષ્ટ્રીય સ્તરના નેતા રહેશે. ભાજપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ વી. સતીશે કહ્યુ છે કે તમામ તૈયારી જોરદાર રીતે કરવામાં આવી રહી છે. વી. સતીશ અને સતીશ પુણિયાને જોધપુર, રાજસ્થાનના પ્રભારી અવિનાશ રાય ખન્ના અને કેન્દ્રિય રાજ્યપ્રધાન અર્જુનરામ મેઘવાલને જયપુર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. ભાજપના જનરલ સેક્રેટરી અને ચન્દ્રશેખર અને કેન્દ્રિય રાજ્યપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતને ચિત્તોડગઢની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના એક સિનિયર નેતાએ માહિતી આપતા કહ્યુ છે કે આ તમામ છ નેતાના સંઘ સાથે પણ ખુબ મજબુત સંબંધ છે. જોધપુરમાં જાટ સમુદાયના લોકો ખુબ વધારે હોવાના કારણે સતીશ પુણિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. શેખાવત પાસેથી આશા રાખવામાં આવી રહી છે કે નારાજ રહેલા રાજપુત સમુદાયના લોકોનેે ચિત્તોડગઢમાં પરત લઇને આવશે.