ભડલી ગામે ભુંડ પકડવા બાબતે વૃધ્ધની હત્યા કરનાર છ આરોપીને ઝડપી લીધા

1594

સિહોરના ભડલી ગામે ગઈકાલે ભુંડ પકડવા બાબતે બે જુથ વચ્ચે થયેલ મારામારીમાં વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જે ગુનામાં ફરાર છ શખ્સોને પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના બોરતળાવ મફતનગર મહાકાળી ચોક પાસે રહેતા ગુરૂમુખસિંઘ અને તેનો પુત્ર નેપાલસિંહ સહિતના સિહોરના ભડલી ગામે ભુંડ પકડવા ગયા હતા. જ્યાં ભુંડ પકડવા બાબતે જીતુસિંઘ, જર્નલસિંઘ, કર્નલસિંઘ, પ્રધાનસિંઘ, પરમજીતસિંઘ અને તપનસિંઘ સાથે ઝઘડો થતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ ગુરૂમુખસિંઘ અને નેપાલસિંઘ પર છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા ગુરૂમુખસિંઘનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિહોર પોલીસે ઉપરોક્ત છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ પીઆઈ રાઉલજીએ હાથ ધરતા છએ શખ્સોને વળાવડ ગામના રેલ્વે ફાટક પાસેથી ઝડપી લઈ ધોરણસર અટક કરી હતી અને પૂછપરછ હાથ ધરતા ગુનામાં લેવાયેલ હથિયાર અને વાહન કબ્જે લીધુ હતું તેમજ ભુંડ પકડવા હદ બાબતે ઝઘડો થયાની છએ શખ્સોએ કબુલાત આપી હતી. સમગ્ર ઘટના અંગે પીઆઈ રાઉલજી સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજરોજ કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરાશે તેમજ જંગલી ભુંડ પકડવામાં કોઈ મંજુરીની જરૂર હોતી નથી તથા ભુંડ પકડવાની આ ટોળકીઓ પોતાની રીતે એરીયા નક્કી કરતા હોય છે જેથી બીજાના એરીયામાં ભુંડ પકડવા બાબતે બન્ને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો.

Previous articleકોંગ્રેસ જશ મેળવી ના લે તેવા હેતુથી રાજુલામાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઉદ્દઘાટન ભાજપે બંધ રખાવ્યું : ધારાસભ્ય
Next articleસાગરમાલા યોજના ઝડપી અમલ કરવા કિશોર ભટ્ટ દ્વારા રજુઆત