રામ મંદિર માટે કાનૂન લાવવા ભાગવતની અપીલ

1402

(સં. સ.સે.) નાગપુર,તા. ૧૮

વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આજે ફરી એકવાર રામ મંદિરના નિર્માણની અપીલ કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, મંદિરના મુદ્દા ઉપર ચાલી રહેલી રાજનીતિને ખતમ કરીને તરત જ રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. તેમણે કહ્યં હતું કે, જો જરૂર પડે તો સરકારે આના માટે કાનૂન બનાવવાની જરૂર છે. ૨૦૧૯ની ચૂંટણી માટે ઝડપી બની રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે મોહન ભાગવતે આ નિવેદન કરીને નવો મુદ્દો છેડી દીધો છે. સંઘ પ્રમુખે કહ્યું હતું કે, બાબરે રામ મંદિરને તોડી પાડ્યું હતું અને અયોધ્યામાં રામ મંદિરના પુરાવા પણ મળી ચુક્યા છે. હવે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે પરંતુ આ મામલો કેટલો ચાલશે તેને લઇને કહેવું મુશ્કેલ છે. આ મામલામાં રાજનીતિ આવી ગઈ છે જેથી મામલો ખેંચાઈ ગયો છે.

રામ જન્મભૂમિ ઉપર વહેલી તકે મંદિર નિર્માણ થવું જોઇએ. આ પ્રકરણ ઉપર રાજનીતિ થવી જોઇએ નહીં. મોહન ભાગવતે મંદિર બનાવવાની માંગ ઉઠાવતા પરોક્ષરીતે મોદી સરકારને પણ સલાહ આપી હતી. ભાગવતે કહ્યું હતું કે, ભગવાન રામ કોઇ એક સંપ્રદાયના નથી. તે ભારતના પ્રતિક તરીકે છે. સરકારને કોઇપણ રીતે કાનૂન લાવીને મંદિરનું નિર્માણ કરવું જોઇએ. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે તેમના દ્વારા ચુંટી કાઢવામાં આવેલી સરકાર હોવા છતાં રામ મંદિર કેમ બની રહ્યું નથી.

ભાજપે કહ્યું હતું કે, ભગવાન રામ ભારતના ગૌરવ પુરુષ તરીકે છે. બાબરે આત્મસન્માનને ખતમ કરવા માટે મંદિરને તોડી પાડ્યું હતું. ભાગવતના આ નિવેદને લઇને અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ભાગવતે ૨૦૧૯ની ચૂંટણી પહેલા મોદી સરકારને એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે, રામ મંદિરનો મુદ્દો કોઇપણ રીતે ઉઠાવવો જોઇએ. રામ મંદિર નિર્માણ ભાજપ માટે હંમેશા એક મોટો મુદ્દો રહ્યો છે. ભાજપના ઘોષણાપત્રમાં અયોધ્યામાં મંદિર નિર્માણની વાત કરવામાં આવી છે. હાલમાં અયોધ્યા વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ મામલાને જમીન વિવાદ તરીકે જ ઉકેલવામાં આવશે. અયોધ્યા જમીન વિવાદ મામલાની સુનાવણી ૨૯મી ઓક્ટોબરથી શરૂ થશે. મુખ્ય પક્ષકારોના રામલલ્લા, નિરમોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તથા હિન્દુ મહાસભા છે. આ ઉપરાંત અન્ય કેટલીક અરજીઓ પણ કરવામાં આવી ચુકી છે જેમાં સુબ્રમણ્યમ સ્વામીની અરજી પણ છે. સ્વામીએ પૂજાના અધિકારની માંગ કરી છે. રામજન્મભૂમિ પર વહેલી તકે મંદિર નિર્માણની વાત કરીને ભાગવતે નવી ચર્ચા છેડી દીધી છે. રામ મંદિર હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનો કોઇ મામલો નથી. તે ભારતના પ્રતિક તરીકે છે. જે પણ રસ્તો યોગ્ય લાગે તે રસ્તાથી આનુ નિર્માણ કરવામાં આવે તેવી વાત ભાગવતે કરી હતી. રામ મંદિરના મામલે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે કેટલાક લોકો રાજનીતિના કારમે જાણીજોઇને મંદિર મુદ્દો ઉઠાવે છે. પ્રબોધનથી મન પરિવર્તન થાય છે અને ત્યારબાદ સમાજ તેને સ્વીકારી લે છે. ધર્મના મામલામાં સંબંધિત ધર્મના ધર્માચાર્યો સાથે વાતચીત કરવી જરૂરી છે. તમામને સાથે લઇને પણ ધીમી ગતિએ ફેરફાર કરવામાં આવી શકે છે. એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ મોદી સરકાર દ્વારા તેને બદલી નાંખવામાં આવ્યા બાદ ઉભી થયેલી મડાગાંઠ મુદ્દે બાગવતે મોદી સરકારને કેટલીક સલાહ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે ભારતમાં થનાર આંતરિક હિંસા  ભારત જેવા દેશ માટે યોગ્ય નથી. આ તમામ મુદ્દા પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. મોહન ભાગવતે કહ્યુ હતુ કે ભારતને તોડનાર શક્તિઓને પાકિસ્તાન અને ઇટાલી જેવા દેશોમાંથી સમર્થન મળે છે. ભાગવતે એમ પણ કહ્યુ હતુ કે સમાજમાં તમામ કમીઓને દુર કરીને તેના શિકાર થયેલા સમાજના પોતાના લોકોને ગળે લગાવવાની જરૂર છે.

રામ મંદિર માટે કાનૂન લાવવા કોણ રોકે છે : ઓવૈસીનો પ્રશ્ન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કાયદો લાવવાના નિવેદનને લઇને આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ચુક્યો છે. જુદા જુદા પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેમના નિવેદન ઉપર ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અને સાંસદ અસાસુદ્દીન ઓવૈસીએ આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું છે કે, આરએસએસ અને તેમની સરકારને કાનૂન બનાવવાથી કોણ રોકે છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ અને સંઘ બહુમતિવાદમાં વિશ્વાસ રાખતા નથી. તેઓ સર્વસત્તાવાદમાં વિશ્વાસ રાખે છે. ઓવૈસીએ કહ્યું હતું કે, તેમને સરકાર પર વિશ્વાસ નથી. મોહન ભાગવતે આજે નાગપુર સ્થિત પોતાના વડામથકમાં વિજ્યાદશમીના પ્રસંગે નિવેદન કર્યું હતું જેમાં રામ મંદિર નિર્માણ માટે કાનૂન લાવવાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, મંદિર નિર્માણ મુદ્દો ચાલી રહેલી રાજનીતિના પરિણામ સ્વરુપે મંદિર નિર્માણમાં વિલંબ થઇ રહ્યો છે. મંદિર નિર્માણ પર ચાલી રહેલી રાજનીતિ વહેલીતકે પૂર્ણ થાય તેવી વાત પણ ભાગવતે કરી હતી અને ઉમેર્યું હતું કે, જરૂર પડે તો સરકાર આના માટે કાનૂન બનાવી શકે છે. સંઘ પ્રમુખે કહ્યું હતું કે, બાબરે રામમંદિરને તોડી પાડ્યું હોવાના પુરાવા મળી ચુક્યા છે. ઓવૈસીએ વળતા પ્રહાર કરતા કહ્યું હતું કે, સરકાર અને સંઘને કોઇ રોકી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સંઘ અને ભાજપ કાયદાના શાસનમાં વિશ્વાસ રાખતા નથી. તેઓ કાયદાની અવગણના કરી રહ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, કોઇ એક ધર્મને લઇને ખાસ કાનૂન બનાવી શકાય નહીં. તે આર્ટીકલ ૧૪ના ભંગ સમાન છે છતાં પણ જો કાયદા બનાવવાની ઇચ્છા છે તો સરકાર કાયદો બનાવી શકે છે. સરકારને કોણ રોકે છે. ઓવૈસીએ મોદી સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ઓવૈસી પ્રતિક્રિયા આપવામાં સૌથી આગળ આવ્યા છે. અગાઉ પણ ઓવૈસી વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતા રહ્યા છે.

ભાગવતના નિવેદનથી ફરી રામ મંદિર મુદ્દો સપાટીએ

વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં સંઘના વડા મોહન ભાગવતે રામ મંદિર નિર્માણની વાત કરીને આ મુદ્દાને ફરીવાર છેડી દીધો છે. હવે મંદિર નિર્માણનો મુદ્દો ફરીવાર ચર્ચામાં રહી શકે છે. આને લઇને રાજકીય પક્ષો દ્વારા આક્ષેપબાજીનો દોર પણ શરૂ થઇ ચુક્યો છે. લોકસભાની ચૂંટણી અને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે આ મુદ્દો હવે ચર્ચાસ્પદ બની ગયો છે. પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે ફરી એકવાર આ મુદ્દાને ઢંઢેરામાં સામેલ કરે તેવી શક્યતા છે. મોહન ભાગવતના નિવેદનથી લાગે છે કે, મંદિર નિર્માણમાં વિલંબ થતાં હિન્દુ સમુદાયના લોકો નાખુશ છે અને મંદિર નિર્માણ માટે ઇચ્છુક છે. મોહન ભાગવતે સીધીરીતે સરકારને આ દિશામાં આગળ વધવા અને કાનૂન બનાવીને પણ મંદિર નિર્માણ કરવાની અપીલ કરી દીધી છે. ભાજપની સરકાર કેન્દ્રમાં હોવા છતાં આ દિશામાં કોઇ ગંભીર પ્રયાસો છેલ્લા ચાર વર્ષમાં ન થતાં મોહન ભાગવતે વિજ્યાદશમીના પર્વ પર આ વિષય ઉપર વાત કરી હતી. તેમના નિવેદનથી રામ મંદિરનો મુદ્દો ફરી ગરમ બન્યો છે.

Previous articleયુપી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તિવારીનું નિધન
Next articleકોંગ્રેસની ફેસબુક એડ તેમજ આઝાદના નિવેદનથી વિવાદ