આખરે દિનાકરણના ૧૮ સમર્થક ધારાસભ્યો ગેરલાયક જાહેર થયા

961

તમિળનાડુમાં કે પલાનીસામી સરકારને આજે મોટી રાહત થઇ હતી. કારણ કે, મદ્રાસ હાઈકોર્ટે અન્નાદ્રમુકના ૧૮ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. જસ્ટિસ એમ સત્યનારાયણ દ્વારા હરીફ પાર્ટીઓની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

૧૪મી જૂનના દિવસે આ સંદર્ભમાં ચુકાદો અપાયા બાદ આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષ ધનપલ દ્વારા પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ચુકાદો આપ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટના સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા ત્રીજા જજે ૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે તમિળનાડુના સ્પીકર દ્વારા આપવામાં આવેલા ફેંસલાને યોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. આની સાથે જ આ નિર્ણયના કારણે એકબાજુ સત્તારૂઢ સરકારને મોટી રાહત થઇ છે. બીજી બાજુ ટીટીવી દિનાકરણ ગ્રુપને મરણતોળ ફટકો પડ્યો છે. તમિળનાડુ વિધાનસભાના અધ્યક્ષ  ધનપાલ દ્વારા આ ૧૮ ધારાસભ્યોને ગયા વર્ષે ગેરલાયક જાહેર કર્યા બાદ આ સભ્યો લડાયક મુડમાં આવી ગયા હતા.

અધ્યક્ષની કાર્યવાહની સામે આ ધારાસભ્યોએ સપ્ટેમ્બર ૨૦૧૭માં જ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ત્યારબાદ આઈ મામલામાં અનેક રાજકીય ટિ્‌વસ્ટ આવ્યા હતા. જેથી તમામની નજર હાઇકોર્ટના ચુકાદા પર કેન્દ્રિત થઇ ગઇ હતી.અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ૧૮મી સપ્ટેમ્બરના દિવસે   વિધાનસભા અધ્યક્ષ પી ધનપાલે ટીટીવી દિનાકરણના ૧૮ સમર્થકોની મેમ્બરશીપ રદ કરી દીધી હતી. વિધાનસભા અધ્યક્ષે બંધારણની કલમ ૧૦ હેઠળ આ ધારાસભ્યોને ગેરલાયગ જાહેર કરી દીધા હતા.  અધ્યક્ષ તરફથી આ કાર્યવાહી કરવામાં આવ્યા બાદ તમિળનાડુની રાજનીતિમાં જોરદાર ગરમી જામી હતી. અધ્યક્ષના નિર્ણય બાદ વિધાનસભા સચિવ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે વિધાનસભા અધ્યક્ષે પક્ષાંતર કાયદા હેઠળ આ કાર્યવાહી કરી હતી.  સ્પીકરના નિર્ણયથી  તમામ ધારાસભ્યો ગેરલાયક બની ગયા હતા.  સાથે સાથે તેમની વિધાનસભાની મેમ્બરશીપ ખતમ થઇ ગઇ હતી. મુખ્યમંત્રી પલાનીસામી અને પનીરસેલ્વમની સામે મોરચો ખોલનાર દિનાકરણ માટે આને એક મોટા ફટકા તરીકે જોવામાં આવે છે. હાલમાં પનીરસેલ્વમ અને પલાનીસામી છાવણીએ સામાન્ય બેઠકમાં વીકે શશીકલાને પાર્ટીના વચગાળાના જનરલ સેક્રેટરી તરીકે દૂર કરી દીધા હતા. સાથે સાથે દિનાકરણ દ્વારા જે જાહેરાતો કરવામાં આવી હતી તે તમામ જાહેરાતોને રદ કરી દીધી હતી.  હાલમાં ૧૯ ધારાસભ્યો રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવને મળ્યા હતા અને મુખ્યમંત્રી પલાનીસામીને ટેકો પાછો ખેંચી લેવાના પત્રો સોંપ્યા હતા.૧૮ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ અન્નાદ્રમુકનું સંખ્યાબળ અધ્યક્ષ સહિત ઘટીને ૧૧૬ થયું છે જ્યારે ડીએમકેના ૮૯, કોંગ્રેસના આઠ અને આઈયુએમએલના એક સભ્ય તરીકે છે. ૧૮ સભ્યો ગેરલાયક જાહેર થયા બાદ ૧૯ સીટો હવે ખાલી થઇ છે. એટલે કે વિધાનસભામાં ૨૧૫ ચૂંટાયેલા સભ્યો છે. તમિળનાડુની રાજનીતિમાં બળવાખોર ધારાસભ્યોને લઇને આ નિર્ણય કરવામાં આવ્યા બાદ આંકડાની રમત ઉપયોગી અને મહત્વપૂર્ણ બની ગઇ હતી. જેથી રાજકીય પંડિતોની નજર કોર્ટના ચુકાદા પર હતી. જો કોર્ટે સ્પીકરના નિર્ણયને ખોટો ગણ્યો હોત તો સરકારની મુશ્કેલી વધી ગઇ હોત.

Previous articleમન્નાપુરમ ફાઇનાન્સ લિમિટેડનો એનસીડી ટ્રેન્ચ ૧ ઇશ્યૂ ૨૪ ઓક્ટોબર ખુલ્યો
Next articleઆલોક વર્મા સારા કામો કરતા હતા : સુબ્રમણ્યમ