એકતા રથના પ્રસ્થાન માટે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજકોટ આવી પહોંચ્યા હતા. બાદમાં યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, જીવતા જીવ વિરોધીઓએ સરદારનું અપમાન કર્યું છે, તેના પાપે ડેમનું કામ અટક્યું હતું.
વાઘાણીએ એક કલાક મોડું થયાની માફી માંગી જણાવ્યું હતું કે, રાજ્ય નવી દિશામાં જાય છે. સમાજનો એક-એક અંગ અને એક-એક ભાગ જોડાઇ અને ગામેગામ સરદાર સાહેબનો સંદેશ ફેલાય છે. નવી પેઢી પણ તેમના વિચારોને લઈને ચાલે તે આ યાત્રાનો હેતુ છે. એને નહીં સમજવાવાળા અનેક શબ્દો બોલે તેનાથી કોઈ ફેર નથી પડતો. જીવતા જીવ વિરોધીઓએ સરદાર સાહેબનું અપમાન કર્યું છે. આ સૌભાગ્ય ગુજરાતને મળ્યું છે. માત્ર ૩ વર્ષમાં જ આ કામ આનંદીબેન અને વિજયભાઈએ પૂરું કર્યું છે.
વિરોધીઓ છાપા-મીડિયામાં બોલતા હશે તો લોકોને એમ થતું હોય કે આમા શુ હશે? પરંતુ મારી અપીલ છે કે તમે જોવા જાવ, જોશો તો સમજાશે કે શૂન્યમાંથી સર્જન કોને કહેવાય. વિરોધીઓને કહેવું છે કે આ રાજનીતિનું સ્ટેજ નથી. જ્ઞાતિ-જાતિનું રાજકારણ કરીને સમાજને તોડવાનું કામ વિરોધીઓ કરી રહ્યા છે. ત્યારે એકતાનો સંદેશ લઈને આ યાત્રા નીકળી છે. આ સમય ઇતિહાસમાં લખાશે.