રાફેલ ડિલ : સીબીઆઈ તપાસ ઉપર સુપ્રીમનો ચુકાદો અનામત

770

સુપ્રીમ કોર્ટે ફ્રાંસથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાના સોદાની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી ઉપર આજે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન તમામ સંબંધિત પક્ષો તરફથી પોતપોતાની દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટે અરજી કરનારાઓ અને સરકારની સાથે સાથે હવાઈ દળના અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવી હતી. આશરે પાંચ કલાક સુધી મેરેથોન સુનાવણી ચાલી હતી. ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બનેલી બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાફેલની કિંમતને જાહેર કરવાની માંગ કરી રહેલા અરજીદારોને એ વખતે મોટો ફટકો પડ્યો હતો જ્યારે કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી અમે પોતે જાહેર કરતા નથી ત્યાં સુધી તે મુદ્દે કોઇપણ ચર્ચા કરવામાં આવશે નહીં. આ ગાળા દરમિયાન સરકારી અને સોદાબાજીમાં તપાસની માંગ કરી રહેલા અરજીદારોના વકીલ વચ્ચે જોરદાર દલીલબાજી ચાલી હતી.

સૌથી પહેલા અરજી કરનાર લોકો તરફથી દલીલો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ ઉપર હવાઈ દળના અધિકારીને પણ નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. સરકારે કહ્યું હતું કે, રાફેલ જેટ હવાઈ દળ માટે ખુબ જ જરૂરી હતી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતં કે, હવાઈ દળની તાકિદની જરૂરીયાતોને ધ્યાનમાં લઇને રાફેલ જેટની ખરીદી મહત્વપૂર્ણ બની ગઈ હતી. વેણુગોપાલે કહ્યું હતું કે, રાફેલ જેટની તાકિદની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. એટર્ની જનરલે કોર્ટમાં કહ્યું હતું કે, કારગિલની લડાઈમાં અમે કેટલાક જવાનો ગુમાવી દીધા હતા. જો એ ગાળામાં અમારી પાસે રાફેલ જેટ વિમાનો રહ્યા હોત તો નુકસાન ઓછુ રહ્યું હોત. આને લઇને હવાઈ દળે પણ વેણુગોપાલની દલીલોમાં સહમતિ દર્શાવી હતી. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલે કહ્યું હતું કે, દસો તરફથી સરકારને ઓફસેટ પાર્ટનરોની માહિતી આપી નથી. ઓફસેટ પાર્ટનરોને દસોએ પસંદ કર્યા છે. સરકારની આમા કોઇ ભૂમિકા નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી હતી કે, ફ્રાંસની સરકારે ૩૬ વિમાનોની કોઇ ગેરંટી આપી નથી પરંતુ વડાપ્રધાને લેટર ઓફ કન્ફર્ટ ચોક્કસપણે આપ્યા છે. સુપ્રીમ કોર્ટે હવાઈ દળના અધિકારીઓ પાસેથી સવાલ જવાબ બાદ તેમને કોર્ટમાંથી જવાની મંજુરી આપી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા હવાઈ દળના અધિકારીઓને બોલાવવા માટે સુચના આપ્યા બાદ એક એર માર્શલ અને ચાર વાઇસ એરમાર્શલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે અરજી કરનાર લોકોની દલીલો સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, આ સમગ્ર મામલામાં હવાઈ દળની રજૂઆતને પણ ધ્યાનમાં લેવાની જરૂર હતી. સીજેઆઈ રંજન ગોગોઇએ વેણુગોપાલને પ્રશ્ન કર્યો હતો કે, કોર્ટમાં એરફોર્સના કોઇ ઓફિસર હાજર છે કે કેમ. કારણ કે, આ તમામ એરફોર્સ સાથે જોડાયેલા મામલા પર ચર્ચા થઇ રહી છે. આ મુદ્દા ઉપર એરફોર્સને પણ કેટલાક પ્રશ્નો કરવાની જરૂર છે. ત્યારબાદ હવાઈ દળના અધિકારીઓ પણ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. સંરક્ષણમંત્રાલયના વધારાના સચિવ પણ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એર વાઇસ માર્શલ ચલપતિ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. કોર્ટ નંબર એકમાં તેઓ પહોંચ્યા હતા. સીજેઆઈ રંજન ગોગોઈ તરફથી રાફેલને લઇને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ચલપતિને હવાઈ દળમાં સામેલ કરવામાં આવેલા વિમાનોના સંદર્ભમાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેના જવાબમાં જણાવવામાં આવ્યું હતં કે, હાલમાં જ સુખોઇ-૩૦ને સામેલ કરાયા છે. તેમણે કહ્યું હતું કે, ચાર પ્લસ જનરેશનના વિમાનોની જરૂર છે જેથી રાફેલની પસંદગી કરાઈ છે. સુપ્રીમ કોર્ટમાં સંરક્ષણ મંત્રાલયના વધારા સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા. સપ્રીમ કોર્ટે તેમને વર્ષ ૨૦૧૫ના ઓફસેટ નિયમોના સંદર્ભમાં વાત કરી હતી. સંરક્ષણ મંત્રાલયના વધારાના સચિવે કોર્ટમાં ઓફસેટ નિયમોના સંદર્ભમાં માહિતી આપી હતી અને કહ્યું હતું કે, વર્તમાનમાં મુખ્ય કોન્ટ્રાક્ટની સાથે ઓફસેટ કોન્ટ્રાક્ટ પણ થાય છે. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, ૨૦૧૫માં ઓફસેટ નિયમોમાં ફેરફાર કેમ કરવામાં આવ્યા હતા તેમાં બે શીપની કઇ વાત છે. જો ઓફસેટ પાર્ટનર પ્રોડક્શન નહીં કરે તો શું થશે. સુપ્રીમ કોર્ટે રાફેલની કિંમતને જાહેર કરવાની માંગ કરી રહેલા અરજીદારોને મોટો ફટકો આપ્યો હતો. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, સરકારે રાફેલની કિંમતો ઉપર સીલબંધ કવરમાં માહિતી આપી છે. તેના ઉપર ચર્ચા એજ વખતે થશે જ્યારે કોર્ટ પોતે આ કિંમતો જાહેર થશે. સુનાવણી દરમિયાન એજીએ કહ્યું હતું કે, આ મામલો ખુબ જ ગુપ્ત છે  અને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી માહિતી તેઓએ પણ નિહાળી નથી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાફેલની કિંમતના સંદર્ભમાં અરજીદારોને હજુ રાહ જોવી પડશે અને આ સંદર્ભમાં કોઇ માહિતી રજૂ કરાશે નહીં.

Previous articleટેકનોલોજી ક્ષેત્રે અમે ઓછા સમયમાં મોટી છલાંગ લગાવી : વડાપ્રધાન મોદી
Next articleનેહરૂની નીતિઓના કારણે આજે ચા વાળો પીએમ છે : શશિ થરૂર