સબરીમાલા : સર્વપક્ષીય મિટિંગ અંતે ફ્લોપ રહી, સરકાર મક્કમ

659

સબરીમાલા મંદિરના પ્રવેશ દ્વાર ખુલવા આડે ૨૪ કલાકથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે આ પ્રશ્નને લઇને કેરળમાં નવો સંગ્રામ છેડાઈ ગયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સબરીમાલા મંદિરમાં આ વખતે મહિલાઓ પ્રવેશ કરી શકશે કે કેમ તેને લઇને પ્રશ્ન છેડાયેલો છે. ગુરુવારના દિવસે મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશને લઇને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક ફ્લોપ સાબિત થઇ હતી. કોંગ્રેસ અને ભાજપે સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો હતો. બંને પક્ષોએ કહ્યું હતું કે, સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી પોતાના ચુકાદાને લાગૂ કરવા માટે વધારે સમય માંગે તે જરૂરી છે. બંને પક્ષોએ વોકઆઉટ કર્યો હતો. બીજી બાજુ કેરળ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને પાળવાને લઇને કટિબદ્ધતા દર્શાવી હતી. કેરળના મુખ્યમંત્રી વિજયને મંદિરમાં મહિલાઓના પ્રવેશની ખાતરી કરવા માટે કેટલાક નિયમ બનાવવાના સંકેત આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટે ૨૮મી સપ્ટેમ્બરના દિવસે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, તમામ વયની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તે જરૂરી છે. મહિલાઓની એન્ટ્રીને લઇને કેરળ સરકાર નવા કેટલાક નિયમ બનાવવા જઇ રહી છે જેમાંથી એક નિયમ એ છે કે, મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે એક જ દિવસ નક્કી કરી દેવામાં આવશે. મિટિંગથી કોંગ્રેસ અને ભાજપે વોકઆઉટ કર્યો હતો. વિજયનની ડાબેરી સરકાર પાસે હવે ખુબ મર્યાદિત વિકલ્પ રહી ગયા છે. કોંગ્રેસ અને ભાજપ આ મામલાને લઇને મંદિરની પરંપરા પાળવા માટે દલીલો કરી રહ્યા છે. બીજી બાજુ ડાબેરી સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને પાળવાની ઇચ્છા રાખે છે. સુપ્રીમ કોર્ટમાં ૪૮ જેટલી ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી છે જેના પર ૨૨મી જાન્યુઆરીના દિવસે એક સાથે સુનાવણી કરાશે. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૧૩મી નવેમ્બરના દિવસે સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશને મંજુરી આપવાના તેના ચુકાદા પર સ્ટે મુકવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

હવે આ મામલામાં સુનાવણી ખુલ્લી કોર્ટમાં ૨૨મી જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટ ૨૨મી જાન્યુઆરીના દિવસે રિવ્યુપિટિશનમાં અરજી હાથ ધરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ આરએફ નરિમન, એએમ ખાનવીલકર, ડીવાય ચંદ્રચુડ અને ઇન્દુ મલ્હોત્રાની બેંચે આ મામલામાં સુનાવણી હાથ ધરી હતી. ૨૮મી સપ્ટેમ્બરના ચુકાદાની સામે આ સમીક્ષા અરજીઓ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં એવી ૪૮ અરજીઓ કરવામાં આવી ચુકી છે જેમાં કેરળના સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશની મંજુરી આપતા તેના ૨૮મી સપ્ટેમ્બરના ચુકાદા પર ફેરવિચારણા કરવા માટે માંગ કરવામાં આવી હતી. તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બેંચે ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ૪-૧ના બહુમતિ ચુકાદાથી સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુરી આપી હતી અને કહ્યું હતું કે, કોઇપણ પ્રકારના ભેદભાવ હોવા જોઇએ નહીં. તમામ પેન્ડિંગ રહેલી અરજીઓની સાથે તમામ સમીક્ષા અરજીઓ ઉપર ૨૨મી જાન્યુઆરીના દિવસે ખુલ્લી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અમે સ્પષ્ટતા કરી ચુક્યા છે કે, ચુકાદા પર કોઇપણ સ્ટે નથી.

Previous articleસંસદનું શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરથી,રામ મંદિર પર કાયદો લાવશે મોદી સરકાર?
Next articleકોંગીને રાહત : હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના હુકમ પર સ્ટે