અમૃતસર બ્લાસ્ટમાં આઈએસઆઈનું કનેક્શન :  મુખ્યમંત્રી અમરિન્દરસિંહ

961

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે અમૃતસર સ્થિત નિરંકારી ભવનમાં કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં પાકિસ્તાનના આઈએસઆઈનો હાથ હોવાનો દાવો કર્યો હતો. અમૃતસર  બ્લાસ્ટમાં પાકિસ્તાનના કનેક્શનના પુરાવા અમરિન્દરસિંહે રજૂ કર્યા હતા. સાથે સાથે આ હુમલામાં સંડોવાયેલા આરોપી પૈકી એકની ધરપકડ કરાઈ હોવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ ૨૬ વર્ષીય વિક્રમજીતસિંહ તરીકે કરવામાં આવી છે. હુમલામાં ઉપયોગ કરવામાં આવેલા મોટરસાયકલ કબજે કરવામાં સફળતા મળી ગઈ છે.

આ ઘટનાક્રમ અંગે માહિતી આપતા અમરિન્દરે કહ્યું હતું કે, પંજાબમાં આતંકવાદને ફરી સજીવન કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આઈએસઆઈની સંડોવણી આમા સ્પષ્ટપણે રહેલી છે. આ હુમલામાં બે શખ્સો સામેલ હતા. આમાથી એક ૨૬ વર્ષીય વિક્રમજીતસિંહને પકડી પાડવામાં આવ્યો છે.

બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે જેનું નામ અવતારસિંહ છે. તેને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. પોલીસે હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી બાઈક કબજામાં લઇ લીધી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આમા કોઇપણ સાંપ્રદાયિક એંગલ નથી. આ એક આતંકવાદનો મામલો છે. નિરંકારી ભવનને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો કારણ કે ત્યાં રહેલા લોકો આતંકવાદીઓના સરળ ટાર્ગેટ તરીકે હતા. અમારી પાસે પહેલાથી જ માહિતી હતી કે, બીજા સંગઠનોને પણ ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા અને અમે સફળ રહ્યા છીએ. આઈઇડી અને હથિયારોનો જથ્થો પણ જબ્ત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને આઈએસઆઈ ખુબ સક્રિય છે. માસ્ટરમાઇન્ડ આઈએસઆઈ છે. આઈએસઆઈએ કેટલાક શખ્સોનો ઉપયોગ કરીને હુમલાને અંજામ આપ્યો હતો. આ લોકોએ પાકિસ્તાનની હથિયાર ફેક્ટ્રીમાં બનેલા ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. આના લાયસન્સ પાકિસ્તાન ઓર્ડિનરી ફેક્ટ્રીની પાસે છે. હુમલામાં જે ગ્રેનેડનો ઉપયોગ કરાયો હતો તે જ પ્રકારના ગ્રેનેડનો ઉપયોગ કાશ્મીરમાં સુરક્ષા દળોની સામે કરવામાં આવ્યો છે. આ ગ્રેનેડમાં પણ પેલેટ્‌સ ભરેલા હતા. મુખ્યમંત્રીએ પાક કનેક્શનના પુરાવા રજૂ કર્યા હતા. જો કે તેમણે ખાતરી આપી હતી કે પંજાબમાં શાંતિ માટે તમામ પગલા લેવાશે. પાકિસ્તાનમાં શાંતિને ખોરવી કાઢવા માટે માહોલ બગાડવા માટે ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  પંજાબના અમૃતસરમાં ધાર્મિક ડેરા (નિરંકારી ભવન)માં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ સુરક્ષા સંસ્થાઓ દ્વારા વ્યાપક શોધખોળ હજુ પણ ચાલી રહી છે. ગુપ્ત સ્થળો પર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. હુમલાખોરો અંગે માહિતી આપનારને ૫૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત મુખ્યમંત્રી અમરિન્દરસિંહ દ્વારા કરવામાં આવી હતી. ઘટના બાદ હચમચી ઉઠેલા પંજાબ સહિત દેશના રાજ્યોમાં હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. ત્રાસવાદી ઘટના તરીકે ગણાતા આ હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પંજાબમાં અમૃતસરના રાજા સામસી વિસ્તારના એક ધાર્મિક ડેરા ઉપર કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં ૨૦થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા.  આ બ્લાસ્ટ બાદ પંજાબના તમામ શહેરો સહિત વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. અમૃતસર નજીકના રાજા સામસી વિસ્તારમાં આ બ્લાસ્ટ કરાયો હતો.રાજા સામસી ગામના નિરંકારી ભવનમાં બપોરે બુરખાધારી મોટરસાયકલ પર આવેલા શખ્સોએ બે ગ્રેનેડો ઝીંક્યા હતા. ગ્રેનેડ ઝીંક્યા બાદ મોટરસાયકલ પર આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. નિરંકારી સમુદાયના લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને કાર્યક્રમમાં સેંકડો લોકો ઉપસ્થિત હતા.

Previous articleસોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર : અમિત શાહ અને ત્રણ આઈપીએસ મુખ્ય કાવતરાખોર હતા
Next articleજમ્મૂ-કાશ્મીરમાં પીડીપીએ કર્યો સરકાર બનાવવાનો દાવો, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી