દેવીપૂજક વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન તથા તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો

1535

સમાજમાં શિક્ષણનું પ્રમાણ જેમ જેમ વધતું જશે તેમ સમાજમાંથી ગરીબી-બેકારી જેવી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઇ જશે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું છે. અમદાવાદ દેવીપૂજક વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્નેહમિલન તથા તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, દેવીપૂજક સમાજ ધીમે ધીમે આગળ આવી રહ્યો છે અને આ સમાજમાંથી કુરિવાજો-અંધશ્રદ્ધાઓ દૂર થાય તે આજના સમયની જરૂરિયાત છે.

મંત્રીએ નવા વર્ષે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા વંચિત સમાજો માટે અનેક પ્રકારની યોજનાઓ ઉપલબ્ધ છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોઇપણ સમાજને એક તાંતણે જોડી રાખી આગળ વધારવો મુશ્કેલ કાર્ય હોય છે. ત્યારે આજે દેવીપૂજક સમાજે એક અવાજે એકત્ર થઇ સમાજની એકતા દર્શાવી છે તે અભિનંદનને પાત્ર છે.

પૂર્વ મંત્રી ગોરધનભાઇ ઝડફિયાએ જણાવ્યું કે, જે સમાજ ઇતિહાસને ભૂલી જાય છે તે સમાજ કોઇ દિવસ વિકાસ કરી શકે નહીં. આ કાર્યક્રમમાં પૂર્વ સનદી અધિકારી પી.બી.પટણી, દેવીપૂજક સમાજના અગ્રણીઓ તથા દેવીપૂજક સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleજિલ્લામાં ઠેર-ઠેર ઈદે મિલાદની ભવ્ય ઉજવણી
Next articleમનપા દ્વારા મુખ્ય સચિવના આદેશનું પણ ઉલ્લંઘન