૧૫ સૌથી અમીરોનું દેવુ માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં : રાહુલ

739

કૃષિ સંકટમાંથી બહાર આવવા માટે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતોની વચ્ચે પહોંચીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે જો મોદી પોતાના ૧૫ સૌથી અમીર મિત્રોનું દેવુ માફી કરી શકે છે તો તેમને દેશના કરોડો ખેડુતોનું દેવુ પણ માફ કરવું પડશે. કોંગ્રેસ પ્રમુખે કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે મોદીએ દેશને અંબાણી અને અદાણી વચ્ચે વિભાજિત કરી દીધો છે. શુક્રવારના દિવસે ખેડુતોના પ્રદર્શનમાં ફરી એકવાર વિપક્ષી એકતા દર્શાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જેડીયુના પૂર્વ વરિષ્ઠ નેતા અને શરદ યાદવ, સીપીઆઈના સીતારામ યચુરી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓના ટોપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ ઉપસ્થિત ખેડુતોને સંબોધતા કહ્યું હતું કે જો મોદી ૧૫ લોકનું દેવુ માફ કરી શકે છે તો કરોડો ખેડુતોના દેવાને પણ માફ કરવામાં આવશે. રાહુલે કહ્યું હતું કે કિસાન કોઈ ફ્રી ગિફ્ટ માંગી રહ્યા નથી. પોતાના અધિકારો માંગી રહ્યા છે. મોદીએ વચન આપ્યું હતું કે બોનસ અને એમએસપી આપવામાં આવશે. વીમાના પૈસા આપવામાં આવે છે ત્યારે અનિલ અંબાણીના ખીસામાં આ પૈસા પહોંચે છે. કયા વીમા લેવામાં આવે તેને લઈને પણ ખેડુતો પાસે વિકલ્પો નથી. મોદીએ હિન્દુસ્તાનને અંબાણી અને અદાણીમાં વિભાજિત કરી દીધું છે. રાહુલ ગાંધીએ રાફેલ ડીલ ઉપર પોતાના જુના આક્ષેપોના સંદર્ભમાં કહ્યું હતું કે ભારતના ખેડુતો મોદી પાસેથી અનિલ અંબાણીના વિમાનો માંગી રહ્યા નથી. ખેડુતો પૂછી રહ્યા છે કે અનિલ અંબાણીને હવાઈ દળના પૈસા આપી શકાય છે તો ૧૫ અમીરોના દેવા માફીની જેમ તેમના દેવા માફી કેમ થઈ શકે નહીં.

રાહુલે વિપક્ષી એકતાની વાત કરતા કહ્યું હતું કે અમારી તમામની વિચારધારા જુદી જુદી છે પરંતુ ખેડુત અને યુવાઓ માટે એક છીએ. કાયદા બદલવા પડશે તો પણ બદલવામાં આવશે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન બદલવાની જરૂર હશે તો પણ બદલીશું. સમગ્ર દેશથી ભારતના ખેડુતો અને યુવાઓનો આ અવાજ છે જેને શાંત કરી શકાય નહીં. રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર માત્ર મોટા ઉદ્યોગપતિઓની તરફેણ કરવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે મોદી હંમેશા હિન્દુસ્તાનના સૌથી અમીર લોકોની વાત કરે છે.  પાંચ વર્ષ પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે કોઈ સરકાર ભારતના ખેડુતોનું અપમાન કરશે તો યુવાઓ ચલાવી લેશે નહીં.

Previous articleરાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ૬ રૂપિયાનો ઘટાડો કર્યો
Next articleદેવા માફી સહિતની અનેક માંગ સાથે ખેડુતોનું દિલ્હીમાં પ્રદર્શન