જર્જરિત શાળાઓ અંગે એક પરિપત્ર જાહેર કરાયો હતો જેમાં સ્પષ્ટપણે સૂચન કરવામાં આવ્યું છે કે જે કોઈ શાળાઓ જર્જરિત છે તે શાળાઓનો ઉપયોગ કરવો નહીં અને જો તે શાળાઓનો ઉપયોગ થશે અને કોઈ અણબનાવ બનશે તો તે શાળાના આચાર્ય અને શિક્ષકો આના માટે જવાબદાર હશે. માત્ર દહેગામ તાલુકાની જ નહીં પણ ગાંધીનગર જિલ્લામાં પણ શાળાઓના ઓરડા જર્જરિત જાહેર કરાયેલા હોવા છતાં તોડાતા નથી.
બનાવવાની કાર્યવાહી અંગે માત્ર ટેન્ડરો અને સૂચનાઓની વણઝાર કરવામાં આવી રહી છે અને પણ હકીકતે ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ અધિકારી આ શાળાઓ ખરેખર કેટલી જર્જરિત છે અને તેને સમયસર ઉતારી લેવા કેટલી જરૃરી છે તે અંગે કોઈ નક્કર પગલાં લેવાઈ રહયા નથી તેમ લાગી રહયું છે.
સર્વ શિક્ષા અભિયાન દ્વારા પહેલા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જે કોઈ જર્જરિત શાળાના ઓરડા છે તે ઓરડાઓ ઉપયોગ કરવા યોગ્ય નથી અને તે ઓરડાઓ નજીક બેરીકેટ કે આડશ ઉભી કરી અને તે ઓરડાઓનો ઉપયોગ ટાળવો, અને જો આમ નહીં કરવામાં આવે અને કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી આચાર્યની રહેશે. સાથેસાથે બાળકો માટે વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા પણ કરવામાં આવે જેથી બાળકોનું શિક્ષણ બગડે નહીં. આવા પરિપત્રો જાહેર કરી અને પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લેવાનો આ કીમીયો છે. અધિકારીઓ કાગળીયા ઉપર કામગીરી કરી અને જાણ કરી છે તેવું કહી છટકી જવા માંગે છે? કે પછી આગામી લોકસભાની ચૂંટણી માટે આ શાળાઓનો પોલીંગ બુથ તરીકે ઉપયોગ કરવા માટે આ મકાનો તોડાતા નથી? ત્યારે આ મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં પણ ઉઠયો હતો. દહેગામની કન્યા છાત્રાલયને બે વર્ષ પહેલા જર્જરિત જાહેર કરી અને તેના કાટમાળને ઉતારી પાડવા માટે મંજુરી આપી દેવામાં આવી છે તો રાહ કોની જોવાઈ રહી છે? અધિકારીઓ એકબીજાને ખો આપવામાં વ્યસ્ત બાળકોને કાંઈ થશે તો ઠીકરુ કોના શિરે ફુટશે.