તુવેરનાં પાકનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ, ૧૦૧ કેન્દ્ર પર ૧૫મીથી ખરીદી

824

ઉત્તરાયણના રોજ કમૂરતાં ઊતરે એટલે ૧૫ જાન્યુઆરી નવા કામકાજ શરુ કરવામાં આવનાર છે તેમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનું કામ પણ સરકાર દ્વારા શરુ કરવામાં આવશે. રસ ધરાવતા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કરાવી દીધું છે. આ માટે પહેલી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધીમાં આઈ-પીડીએસ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાનું જણાવવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯માં લઘુતમ ટેકાના ભાવે તુવેર રૂ. ૫૬૭૫/- પ્રતિ ક્વિન્ટલ ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું નક્કી કરાયું છે. જે ખેડૂતો પોતાનો તુવેરનો જથ્થો વેચવા માંગતા હોય તેઓએ આઈ-પીડીએસ પોર્ટલ પર ઓનલાઇન ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે.  નોંધણી માટે ખેડૂતોએ ચાલુ વર્ષમાં તુવેરના વાવેતરનો ઉલ્લેખ સાથેના નમૂના ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ તથા બેન્કની વિગતો રજૂ કરવાની રહેશે.

૭/૧૨માં વાવેતરનો ઉલ્લેખ ન હોય તો વાવેતર અંગે તલાટી અથવા ગ્રામ સેવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તુવેરનો જથ્થો ભારત સરકાર દ્વારા નિયત કરેલ ધારા ધોરણ અનુસાર ફેર એવરેજ કવાલિટી મુજબનો ખરીદવામાં આવશે.

સાથે જ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણના નવા પરવાના મેળવવા તેમ જ રીન્યુ કરવા માટેની અરજી તથા જરૂરી દસ્તાવેજોની માહિતી ઓનલાઇન મળી રહે તથા સરકારના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણના પરવાના મેળવવા માટે આઈ-ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવન ટાઇમ ફી ભરીને લાયસન્સ-પરવાનગી ચાલુ રાખી શકાશે : સીએમ વિજય રૂપાણી