બે દિવસની હડતાળથી ફટકો : સેવાઓ ઠપ્પ

516

સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોની બે દિવસીય દેશવ્યાપી હડતાળનો આજે અંત આવ્યો હતો. બે દિવસની હડતાળના કારણે બેંકિંગ અને પરિવહન સેવાને માઠી અસર થઇ હતી. પશ્ચિમ બંગાળ અને કેરળમાં હિંસના બનાવો પણ બન્યા હતા. હડતાળને ૧૦૦ ટકા સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હિન્દ મજદૂર સભાના મહાસચિવ હરભજનસિંહે કહ્યું હતું કે, આસામ, ઓરિસ્સા, મણિપુર, મેઘાલય, મહારાષ્ટ્ર અને ગોવામાં હડતાળ ૧૦૦ ટકા સફળ રહી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ સમર્થન મળ્યું છે. મંડી હાઉસથી સંસદ ભવન સુધીના જુલુસમાં હજારો લોકો જોડાયા હતા અને નીતિઓને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. બંગાળના જુદા જુદા ભાગોમાં બીજા દિવસે પણ હિંસા થઇ હતી. હાવડા જિલ્લામાં બસો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મંગળવારે પણ આવી જ અસર જોવા મળી હતી. સરકારી બેંકોના કર્મચારીઓ પણ હડતાળ પર રહ્યા હતા જેથી રોકડ લેવડદેવડ, ચેક ક્લીયરન્સ, ઉપાડને અસર થઇ હતી. ૨૦ હજાર કરોડ રૂપિયાના ચેક ક્લિયરન્સની કામગીરી મંગળવારે અટવાઈ હતી.

બીજા દિવસે હડતાળ એકંદર શાંતિપૂર્ણ રહી હતી. તમામ જરૂરી સેવા પર પ્રતિકુળ અસર થઇ હતી. દેશના જુદા જુદા ભાગોમાં લોકોને મુશ્કેલી નડી હતી. સરકારના શ્રમ સુધારા અને શ્રમિક વિરોધી નીતિના વિરોધમાં ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા આ હડતાળ કરવામાં આવી હતી. વિવિધ રાજ્યોમાં બીજા દિવસે જાહેર પરિવહન અને બેકિંગ સેવા પર અસર થઇ હતી. બે દિવસીય ભારત બંધની કેટલાક રાજ્યોમાં માઠી અસર થઇ હતી. જેમા કેરળ અને બંગાળનો સમાવેશ થાય છે. શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે, બેકિંગ, પોસ્ટલ અને પરિવહનની સાથે જોડાયેલા લોકો પણ હડતાળમાં સામેલ થયા હતા. બેંક, ટપાલ, પરિવહન દ્વારા રેલી યોજવામાં આવી હતી. કેટલાક રાજ્યોમાં બંધની અઇસર નહીંવત રહી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં રેલવે અને રસ્તા રોકો આંદોલન યોજીને સેવા ખોરવી નાંખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. હડતાળમાં કોઇ એક મુદ્દા નથી. જુદા જુદા સંગઠનો જુદી જુદી માંગ સાથે હડતાળમાં ઉતર્યા હતા. ટ્રેડ યુનિયનો શ્રમને લઇને નવા કાયદા, પગારમાં વધારા, બઢતિની માંગ કરી હતી. જ્યારે અન્યો ઉંચા એમએસપીની માંગ કરી હતી.  સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનું કહ્યુંં હતુ કે, આશરે ૨૦ કરોડ વર્કરો હડતાળમાં સામેલ થયા હતા. ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વર્કર વિરોધી નીતિ અને લોક વિરોધી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી હતી.   ટેલિકોમ, હેલ્થ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ, ઇલેક્ટ્રીસિટી, બેંકિંગ, ઇન્સ્યોરન્સ, પરિવહન જેવા સેક્ટરોએ પણ આ હડતાળને ટેકો આપ્યો હતો. જેથી તેમની સાથે જોડાયેલા વર્કરો અને કર્મચારીઓ હડતાળમાં સામેલ થઇ ગયા હતા. શ્રમ સુધારાના સંદર્ભમાં શ્રેણીબદ્ધ સૂચન  કરવામાં આવી ચુક્યા છે.  પરંતુ ચર્ચા દરમિયાન ટ્રેડ યુનિયનોની માંગને ફગાવી દેવામાં આવી હતી. બીજી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પણ અમે હડતાળ ઉપર ગયા હતા. અમે ૯-૧૧ નવેમ્બરના દિવસે પણ મહાપડાવનો કાર્યક્રમ યોજી ચુક્યા છે પરંતુ સરકારે મંત્રણા માટે તૈયારી દર્શાવી નથી.નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં ગ્રુપ ઓફ મિનિસ્ટરે ચર્ચા માટે ક્યારે પણ યુનિયનોને બોલાવ્યા નથી જેથી હડતાળ ઉપર જવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ રહ્યા ન હતા. ઓલ ઇન્ડિયા કિસાન સભા, આદિવાસી અદિકાર રાષ્ટ્રીય મંચ, ભૂમિ અધિકાર આંદોલન દ્વારા પર હડતાળમાં સામેલ થવાની પહેલાથી જ જાહેરાત કરી દેવામાં આવી છે.  કેરળમાં આજે જુદા જુદા વિસ્તારોમાં ટ્રેનો રોકવામાં આવી હતી. થિરુવંતનપુરમાં સ્ટેટ બેંકની શાખા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. થિરુવંતનપુરમ-હૈદરાબાદ સબરી એક્સપ્રેસને રોકવામાં આવી હતી.

Previous articleએકબીજાને પસંદ ન કરનાર પણ હવે એકઠા થયા : મોદી
Next articleનરેન્દ્ર મોદી લોકસભામાં એક  મિનિટ પણ બોલી શક્યા નહીં