બિન અનામત વર્ગોના આગેવાનો સાથે આયોગના ચેરમેન ગજેરાએ બેઠક યોજી

959

બિન અનામત વર્ગો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ચરિતાર્થ કરી બતાવ્યુ છે તેમ ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોનું આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ આજે આયોગની કામગીરી તથા યોજનાઓની જાણકારી અર્થે ભાવનગરના સર્કીટ હાઉસ ખાતે બિન અનામત એવાં વિવિધ વર્ગોના આગેવાનો સાથે બેઠક યોજી અને જણાવ્યુ હતુ. વધુમા તેમણે ઉમેર્યુ હતું કે આયોગ અને નિગમ દ્વારા બિન અનામત જાતિમાં સમાવેશ થયેલાં લોકોના કલ્યાણ અર્થે ૦૮ પ્રકારની યોજનાઓ કાર્યરત છે જેવી કે- શૈક્ષણિક અભ્યાસ માટે લોન સહાય યોજના, વિદેશ અભ્યાસ યોજના, ભોજન બિલ સહાય, ટ્યુશન સહાય યોજના, જી, ગુજકેટ, નીટ પરીક્ષા આપવા માટે કોચીંગ સહાય યોજના, સ્પર્ધાત્મક પરિક્ષા માટે તાલીમ સહાય યોજના, સ્વરોજગાર લક્ષી યોજના, તબીબી, સ્નાતક, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે બેંક ધિરાણ સામે વ્યાજ સહાય યોજના. તેઓએ આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનોને અનુરોધ કરી અને જણાવ્યુ હતું કે સમાજના સર્વાંગી વિકાસ અર્થે જાગ્રુત રહી સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવી લોકો સુધી પહોંચાડવાથી જ તેના મીઠા ફળ નિર્માણ થતા હોય છે પરિણામે સૌના સાથ થકી સૌનો વિકાસ સરળ બનશે. આયોગના સભ્ય સચિવ ડો. દિનેશ કાપડિયાએ સ્લાઈડ શો મારફતે આયોગ અને નિગમની કામગીરીની વિગતે જાણકારી આપી હતી.  આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનોએ જરૂરી સુચનો કર્યા હતા. આ બેઠકમા મહિલા અને બાળ કલ્યાણ આયોગના ડીરેકટર પ્રભાબેન પટેલ, મ્યુ. કોર્પો.ના શાસકપક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ, દંડક પરેશ પંડ્યા,  નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, સમાજ કલ્યાણ અધિકારી એસ. કે. વસાણી, વિકસતી જાતિ નાયબ નિયામક ત્રિવેદી, અનુસુચિત જાતિ વિકાસ નિગમના  ઈન્ચાર્જ મેનેજર હર્ષ બચ્ચન, દહેજ પ્રતિબંધ અધિકારી જલ્પાબેન સહિત બિન અનામત એવાં વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

Previous articleઘોઘા રોડ પરથી દબાણો હટાવાયા…
Next articleપવનચક્કીનું કામ અટકાવવા ટોળાનો પથ્થરમારો