પ.બંગાળમાં વિપક્ષનું શક્તિપ્રદર્શન-મહારેલી

524

ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી કરવામાં આવી છે. તેમાં કોંગ્રેસ, બસપા, એનસીપી સહિત ૧૩ પાર્ટીઓના નેતા મંચ પર છે. અહીં વિપક્ષના દરેક નેતાએ બીજેપી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે મમતા બેનરજીએ કહ્યું હતું કે, હવે મોદી સરકારનો સમાપ્તિનો સમય આવી ગયો છે.

વિપક્ષની મહારેલીમાં મમતા બેનરજીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, હવે મોદી સરકારનો સમાપ્તિનો સમય આવી ગયો છે. હવે તેમને જણાવવાનું છે કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. યૂનાઈટેડ ઈન્ડિયા રેલીમાં ૨૩થી ૨૬ પાર્ટીના લોકો ભેગા થયા છે. મોદીજીને લાગે છે કે, બસ તેઓ જ ઈમાનદાર છે, બાકી બધા ખરાબ છે. મોદી સરકારે દરેક સંસ્થાઓને બરબાદ કરી દીધી છે. મોદીએ કોઈને ક્યાંયના નથી છોડ્યા. તેમણે લાલુ, અખિલેશ અને માયાવતીને નથી છોડ્યા તો અમે તેમને કેમ છોડીશું. મોદી સરકારે નવી નોકરીઓ આપવાની જગ્યાએ બેરોજગારી વધારી દીધી છે. બીજેપી રેલી કરીને બંગાળમાં રમખાણો ફેલાવા માગે છે, પરંતુ અમે એવું નહીં થવા દઈએ. બીજેપીને બંગાળમાં એક પણ સીટ નહીં મળે. મોદીએ સબીઆઈ અને ઈડી જેવી સંસ્થાઓને બદનામ કરી દીધી છે.

હવે ભાજપના સારા દિવસો ફરીથી ક્યારેય આવવાના નથી. ભલે તેઓ ગમે તેટલી સારી વાતો કેમ ના કરી લે પરંતુ હવે તેમના સારા દિવસો આવવાના નથી.

દેશમાં જીએસટી લાગુ કરી અર્થવ્યવસ્થાનો નાશ કરાયો : કુમારસ્વામી

મમતા બેનર્જીની રેલીમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ ભાજપ સરકારને નોટબંધી અને જીએસટી જેવા મુદા ઉઠાવી ઘેરી હતી. કુમારસ્વામીએ કહ્યુ કે, દેશમાં જીએસટી લાગુ કરીને અર્થવ્યવસ્થાનો નાશ કરવામાં આવ્યો છે. દેશમાં સરકાર અલોકતાંત્રિક નેતાઓ દ્વારા ચલાવાવમાં આવી રહી છે.

મોદીજીએ પબ્લિસિટી પીએમ છે નહિ કે પરફોર્મિંગ પીએમ : નાયડૂ

આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ પણ ભાજપની આકરી ટીકાઓ કરી હતી. નાયડૂએ કટાક્ષ કરતા કહ્યું કે વડાપ્રધાને ઘણા વાયદાઓ કર્યા હતા પણ કોઇ પણ પુરો નથી કર્યો. મોદીજી એ પબ્લિસિટી પીએમ છે નહિ કે પરફોર્મિંગ પીએમ. સ્જીઁનો વાયદો કરીને મોદી સરકાર એનો અમલ કરવાનો ભૂલી ગઇ છે. પરિણામે કિસાન પરેશાન છે. નોટબંધીને લીધે લાખો લોકોને પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો. કર્ણાટકમાં પણ ભાજપને સત્તામાં લાવવા મોદી સરકારે ધારાસભ્યોની ખરીદી કરવાનો પ્રયાસ કર્યો હતો.

કાશ્મીર માટે ભાજપ જવાબદારઃ ફારૂક અબ્દુલ્લા

અબ્દુલ્લાએ કહ્યું કે દેશમાં લોકોને વહેંચવાનું કામ થઇ રહ્યું છે. હિન્દુ-મુસલમાનોને વહેંચવાનું કામ થઇ રહ્યું છે. દેશમાં આગ લાગી છે. તેને રોકવા માટે તેમણે કુર્બાની આપવી પડશે. આ કુર્બાની માટે લોકોની પહેલાં નેતાઓને આગળ આવવું પડશે. આજે જમ્મુ-કાશ્મીર જે સ્થિતિમાં છે તેની માટે પણ ભાજપ જવાબદાર છે. હું મુસલમાન ચોક્કસ છું પરંતુ પહેલાં ભારતીય છું.

જેને તમે ઇવીએમ કહો છો તે ચોર મશીન છે, તેને ખત્મ કરવા જોઇએ. તેનાથી ચૂંટણીમાં ચોરી કરાય છે. તેના માટે આપણે તમામ નેતાઓને એક થઇ ચૂંટણી પંચ જવું જોઇએ. દેશની ખુશાલી માટે આ સરકારને હટાવી પડશે. આ સરકાર મહિલા અનામત બિલ પર મૌન રહે છે અને ટ્રિપલ તલાક પર અવાજ ઉંચો કરી દે છે. આપણે સરકારની ઇચ્છાને સમજવી પડશે.

સરકારે નોટબંધી કરી લોકોને બરબાદ કરી નાંખ્યાઃ શરદ પવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે એનડીએ સરકારની ટીકા કરતા કહ્યું કે દેશની સંસ્થાઓ પર હુમલાઓ થઇ રહ્યા છે. આંબેડકરે રચેલા સંવિધાનની ભાવનાઓ સાથે છેડછાડ થઇ રહી છે. સરકારે નોટબંધી અને જીએસટી અમલના પગલા ઉઠાવીને લોકોને બરબાદ કરી દીધા.  આજે ઉદ્યોગ બંધ થવાને લીધે લોકો બેરોજગાર બન્યા છે. ખેડૂતોની હાલત દયનીય બની છે. અમે લોકો પીએમ પદ મેળવવા માટે ગઠબંધન નથી કર્યુ પણ મોદીને સત્તા પરથી હઠાવવા માટે સંગઠિત થયા છે.

મોદી-અમિત શાહની જોડીએ દેશનો કબાડો કર્યોઃ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી પર આકરા પ્રહાર કર્યા. કેજરીવાલે કહ્યુ કે, પાંચ વર્ષમાં પીએમ મોદી અને અમિત શાહની જોડીએ દેશનો કબાડો કર્યો છે. મોદી અને શાહ ફરીવાર આવશે તો દેશને બરબાદ કરશે. લોકસભાની ચૂંટણીમાં મોદી અને શાહ જવાના છે અને દેશમાં અચ્છે દિન આવવાના છે.

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે, દેશમાં ભાજપ પ્રત્યે ગુસ્સો છે. દેશમાં યુવાનો નોકરી માટે ઠોકર ખાઈ રહ્યા છે. મોદી સરકારે રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ દેશમાં યુવાનોને રોજગારી મળી નથી. મોદીએ જુઠ્ઠુ બોલીને મત લીધા છે. પીએમ મોદી ફરીવાર સત્તામાં આવી દેશના બંધારણનો નાશ કરવા માગે છે. જેથી મોદી અને શાહની જોડીને રોકવી વધુ જરૂરી છે.

કેન્દ્ર સરકાર દરેક સંસ્થાને બર્બાદ કરી રહી છેઃ શરદ યાદવ

શરદ યાદવે કહ્યું કે નોટબંધીના લીધે દેશના અરથ્તંત્રને કેટલાંય વર્ષ પાછળ ધકેલી દીધા છે. તેમણે કહ્યું હતું કે બે કરોડ રોજગારી આપીશું પરંતુ કેટલાંને મળી. કેન્દ્ર સરકાર દરેક સંસ્થાને બર્બાદ કરી રહી છે. ભારતની આઝાદીમાં જેટલી કુર્બાની બંગાલે આપી છે તેટલી દેશના કોઇ રાજ્ય એ આપી નથી. આ દરમ્યાન શરદ યાદવે ગોટાળાઓની વાત કરતાં ભૂલથી રાફેલની જગ્યાએ બોફોર્સ કહી દીધું. જો કે બાદમાં તેમણે માફી માંગતા કહ્યું કે બોફોર્સ નહીં રાફેલ ગોટાળાની વાતો કરી રહ્યો હતો. બાદમાં મમતાએ તેમની વાત ફરીથી દોહરાવી હતી.

Previous articleISIના ત્રણ ખતરનાક શાર્પ શુટરની કરાયેલી અટકાયત
Next articleK-૯ વજ્ર ટેન્ક મોદીએ રાષ્ટ્રને કરી સમર્પિત