કોંગ્રેસ રામ મંદિર બનાવવાનુ વચન આપે તો સમર્થન પર વિચારઃ વીએચપી

683

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલું નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ જો લોકસભા ચૂંટણીના પોતાના ઢંઢેરામાં રામ મંદિરનો મુદ્દો સામેલ કરશે તો સમર્થન અંગે વિચાર થઈ શકે છે. વીએચપી તરફથી આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો જાહેર સભાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચર્ચામાં છે.આલોક કુમારે કહ્યું કે, રામ મંદિર માટે જેઓએ ખુલીને વાયદો કર્યો છે, જો કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં મંદિર બનાવશે તેવો મુદ્દો સામેલ કરશે તો તેમને સમર્થન આપવા અંગે વિચારી શકાય છે. નવા વર્ષના પહેલાં અઠવાડીયામાં કોંગ્રેસ અધ્યક્ષે રામ મંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિરનો મુદ્દો હજુ કોર્ટમાં છે.

સાથે જ તેઓએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં નોકરી અને ખેડૂતો સાથે જોડાયેલાં મુદ્દાઓ જ મહત્વના હશે. વીએચપી દ્વારા કોંગ્રેસને સમર્થન આપવાની વાત ભાજપ માટે તગડા ઝટકા સમાન છે. આ ઉપરાંત રામ મંદિરને લઈને પણ વીએચપીનો વિશ્વાસ ભાજપ તરફથી ડગી રહ્યો છે.

આલોક કુમારે કહ્યું કે, હવે અમને એવું લાગે છે કે સરકારની મજબૂરી શું છે તે તો અમે નથી જાણતા પરંતુ સંભવ છે કે આ સરકારના કાર્યકાળમાં કાયદો આવવાની શક્યતા નથી. અમે દેશની તમામ પરિસ્થિતિઓ સંતોની સામે રાખીશું અને પૂછીશું કે આગળ શું કરવું છે. સંત જેવું માર્ગદર્શન આપશે આ અભિયાનને આગળ વધારીશું. લોકસભા ચૂંટણી પહેલાં મંદિર બનવાની કોઈ જ શક્યતા દેખાતી નથી.

રામ મંદિરને લઈને કોંગ્રેસ ધીમા અવાજે સમર્થન કરતા નજરે પડી રહ્યાં હોય તેવું લાગે છે. હાલમાં જ ઉત્તરાખંડના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોંગ્રેસ સત્તામાં આવ્યાં બાદ જ થશે.

Previous articleમાયાવતી ન તો મહિલા, ન તો પુરુષ, તે કિન્નરથી પણ ખરાબ : સાધના સિંહ
Next articleકર્ણાટક : ચાર કોંગ્રેસી સભ્ય ભાજપમાં જવાની તૈયારીમાં