આગામી ૧૮ ફેબ્રુઆરીથી પાટનગર ગાંધીનગરમાં વિધાનસભાનું બજેટ સત્ર થઈ રહ્યું છે. ત્યારે આ સત્રને લઈને કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિપક્ષની માંગને સ્વીકારીને ગૃહની કાર્યવાહીના સમયગાળામાં વધારો કરાયો છે. ૧૮ તારીખથી શરૂ થતા આ સત્રના પ્રથમ દિવસે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપીને કામગીરી મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સત્ર દરમિયાન અન્ય દિવસની બેઠકમાં વધારો કરવાની માંગ કરી હતી. સરકાર ચૂંટણી લક્ષી ઢંઢેરાની વાતો કરશે. પણ પ્રજાના પ્રશ્નોની ચર્ચા નહી કરે તેવો આક્ષેપ પણ પરેશ ધાનાણીએ લગાવ્યો હતો. જોકે વિપક્ષની માંગને ધ્યાને રાખીને મુખ્ય પ્રધાને સત્રના અંતિમ બે દિવસમાં ગૃહની કામગીરીમાં એક એક કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બુધવારે ગૃહની કાર્યવાહીમાં સાંજે ૧ કલાક અને ગુરુવારે ગૃહની કાર્યવાહીમાં સવારે ૧ કલાક વધુ સમય કામ ચાલશે. જેથી રાજ્યપાલના અભિભાષણ પર વધુ ચર્ચા કરી શકાય.